Mumbai, તા. 30
રામાનંદ સાગરની આઇકોનિક સીરિયલ પરામાયણથમાં ભગવાન શ્રીરામનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતાં બનેલાં એક્ટર અરુણ ગોવિલ હવે મોટા પડદા પર વાપસી કરી રહ્યાં છે.
નીતિશ તિવારીની ભવ્ય ફિલ્મ પરામાયણથના હાલમાં જ રિલીઝ થયેલાં ટ્રેલરમાં તેઓ રાજા દશરથના રોલમાં જોવા મળ્યાં છે. ટ્રેલરમાં તેમનાં ખુશીનાં અને વનવાસ સમયનાં ભાવુક દ્રશ્યો જોઈને ચાહકો જૂની યાદોમાં સરી પડ્યાં છે અને સોશિયલ મીડિયા પર તેમની ખૂબ ચર્ચા થઈ રહી છે.
જૂની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ અરુણ ગોવિલને રામ સિવાય અન્ય કોઈ રોલમાં જોવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં અરુણ ગોવિલે જણાવ્યું કે, તે દીપિકાનો અંગત દ્રષ્ટિકોણ છે અને તેઓ તેનાં વિચારનું સન્માન કરે છે.
તેમણે ઉમેર્યું કે તેઓ પોતાનાં રામના પાત્રને ક્યારેય ભૂલ્યાં નથી, પરંતુ આ નવા રોલને પણ પૂરી નિષ્ઠા અને મહેનતથી ભજવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ફિલ્મમાં શ્રીરામનો રોલ કરી રહેલાં રણબીર કપૂર સાથે કામ કરવાના અનુભવ અંગે અરુણ ગોવિલે તેમનાં ખૂબ વખાણ કર્યા હતાં.
તેમણે કહ્યું કે રણબીર એક શાનદાર કલાકાર હોવાની સાથે જ એક ખૂબ જ સારો અને નમ્ર માણસ પણ છે. ફિલ્મનાં સેટ પરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક હતું અને તેઓ રણબીરની સફળતા માટે શુભકામનાઓ પાઠવે છે.
રાજા દશરથના પાત્ર વિશે વાત કરતાં અરુણ ગોવિલે જણાવ્યું કે, આ રોલ માત્ર એક રાજાની શક્તિ દર્શાવવા પૂરતો સીમિત નથી. તેઓ આ અભિનય દ્વારા એક પિતાનાં સ્નેહ, તેમની લાગણીઓ અને સંઘર્ષને દર્શકો સુધી પહોંચાડવા માગે છે. આ માટે તેમણે પોતાનાં ભૂતકાળનાં અનુભવ અને નવા દ્રષ્ટિકોણનો સુંદર સમન્વય સાધ્યો છે.

