ભારે પવન સાથે મુશળધાર વરસાદથી ટ્રાફિક પ્રભાવિત; બનાસકાંઠાના અનેક ગામોમાં જનજીવન પર અસર, તંત્રે સાવચેતી રાખવા કરી અપીલ
Banaskantha,તા.૧
હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે.
યાત્રાધામ અંબાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને યાત્રાળુઓ સહિત સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે અંબાજી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે.
અંબાજીમાં સતત વરસેલા વરસાદના કારણે મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે સરકારી બસોની અવરજવર પણ અસરગ્રસ્ત બની હતી, જ્યારે બહારથી આવેલા યાત્રિકોના ખાનગી વાહનો ધીમી ગતિએ આગળ વધવા મજબૂર બન્યા હતા. ભારે ટ્રાફિક જામ સર્જાતા અનેક યાત્રાળુઓ લાંબા સમય સુધી રસ્તામાં અટવાઈ રહ્યા હતા. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અંબાજી ઉપરાંત પાલનપુર તાલુકાના લુણવા, મલાણા, સદરપુર અને રતનપુર ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. કાંકરેજ તાલુકાના શિહોરી, આકોલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
સતત વરસાદને કારણે જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને બફારા તથા ગરમીમાંથી રાહત મળી છે. જોકે, ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને માર્ગવ્યવહાર પ્રભાવિત થવાથી સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત તથા સુરક્ષાની કામગીરી માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

