શ્વેતા પટેલ (સેતુ)-અમદાવાદ
‘‘તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ.‘‘ યજુર્વેદનો આ દિવ્ય મંત્ર ભારતીય સંસ્કૃતિના ચિંતનનું અમૂલ્ય રત્ન છે. તેનો સરળ અર્થ છે મારું મન હંમેશાં કલ્યાણકારી, શુભ અને પવિત્ર સંકલ્પોથી પરિપૂર્ણ રહે. અહીં ’શિવ’નો અર્થ માત્ર દેવાધિદેવ મહાદેવ નથી, પરંતુ કલ્યાણ, મંગલ, સત્ય અને ચૈતન્ય પણ છે. જ્યારે મનુષ્યનું મન શુભ સંકલ્પોથી ઉજ્જવળ બને છે, ત્યારે તેનું જીવન માત્ર વ્યક્તિગત સફળતા સુધી સીમિત રહેતું નથી; તે સમગ્ર સમાજના કલ્યાણનું કારણ બને છે.
માનવજીવનનો આધાર મન છે. મનમાં જન્મેલો એક વિચાર જ આગળ જઈને સંકલ્પ બને છે, સંકલ્પ કર્મમાં પરિણમે છે અને કર્મ જીવનનું ભાગ્ય ઘડે છે. તેથી જ આપણા ઋષિઓએ મનની પવિત્રતા પર વિશેષ ભાર મૂક્યો છે. જે મનમાં દયા છે, ત્યાં કરુણા છે; જ્યાં કરુણા છે, ત્યાં સેવા છે; જ્યાં સેવા છે, ત્યાં સાચું શિવત્વ છે. તેથી શિવ સંકલ્પ એટલે પોતાના જીવનને સત્ય, પ્રેમ, કરુણા, સહનશીલતા અને પરોપકારથી પ્રકાશિત કરવાનો દૃઢ નિશ્ચય.
ભગવાન શિવનું સમગ્ર વ્યક્તિત્વ આપણને આ જીવનમાર્ગ શીખવે છે. તેઓ હિમાલયની નિર્ભેળ શાંતિમાં વસે છે, છતાં સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે સદાય જાગૃત રહે છે. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે હળાહળ વિષ બહાર આવ્યું ત્યારે સમગ્ર બ્રહ્માંડને વિનાશથી બચાવવા માટે ભગવાન શિવે તે વિષ પોતે પીધું અને નીલકંઠ બન્યા. આ પ્રસંગ આપણને શીખવે છે કે સાચો મહાન માણસ પોતાનો લાભ નહીં, પરંતુ વિશ્વના કલ્યાણને પ્રથમ સ્થાન આપે છે. શિવનો આ ત્યાગ અને સમર્પણ જ સાચા અર્થમાં શિવ સંકલ્પનું જીવંત સ્વરૂપ છે.
આજનો યુગ વિજ્ઞાન અને ટેકનેલોજીનો યુગ છે, પરંતુ તેની સાથે માનવજીવનમાં અનેક સમસ્યાઓ પણ વધી છે. હિંસા, આતંકવાદ, ભ્રષ્ટાચાર, સ્વાર્થ, પર્યાવરણનું પ્રદૂષણ, અસહિષ્ણુતા અને મૂલ્યોનો હ્રાસ માનવજાત સામે ગંભીર પડકાર બનીને ઉભા છે. આ સમસ્યાઓનો ઉકેલ માત્ર કાયદાથી કે ટેકનેલોજીથી શક્ય નથી. તેના માટે મનુષ્યના અંતરમાં શિવ સંકલ્પનું જાગરણ જરૂરી છે. જ્યારે વ્યક્તિ પોતાના વિચારોને શુદ્ધ બનાવે છે, ત્યારે સમાજ આપોઆપ શુદ્ધ બનવા લાગે છે.
વિદ્યાર્થીઓ માટે શિવ સંકલ્પ જીવનની સફળતાની ચાવી સમાન છે. નિયમિત અભ્યાસ કરવો, સમયનો સદુપયોગ કરવો, માતા-પિતા અને ગુરુજનોનો આદર કરવો, વ્યસનોથી દૂર રહેવું, પ્રકૃતિનું સંરક્ષણ કરવું અને દેશના જવાબદાર નાગરિક બનવાનો સંકલ્પ કરવો આ બધું જ શિવ સંકલ્પનું વ્યવહારિક સ્વરૂપ છે. આવા સંકલ્પોથી વિદ્યાર્થી માત્ર પરીક્ષામાં જ નહીં, પરંતુ જીવનની દરેક કસોટીમાં સફળ બની શકે છે.
ભારતીય સંસ્કૃતિમાં ’વસુધૈવ કુટુંબકમ્’નો મહાન વિચાર પણ શિવ સંકલ્પનો જ વિસ્તાર છે. સમગ્ર વિશ્વને એક પરિવાર માનીને જીવવું, કોઈ પ્રત્યે દ્વેષ ન રાખવો, દરેક જીવમાં ઈશ્વરનું દર્શન કરવું અને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવું આ બધું જ શિવના કલ્યાણમય દર્શનને સાકાર કરે છે. જ્યારે સમાજનો દરેક વ્યક્તિ પોતાનાં અધિકારો સાથે પોતાના કર્તવ્યોનું પણ નિષ્ઠાપૂર્વક પાલન કરે છે, ત્યારે સાચા અર્થમાં શિવ સંકલ્પનું ફળ પ્રાપ્ત થાય છે.
શિવ સંકલ્પનો અર્થ માત્ર પ્રાર્થના કે ઉપાસના નથી. તે જીવન જીવવાની એક દૃષ્ટિ છે. દરેક દિવસની શરૂઆત એક સારા વિચારથી કરવી, કોઈના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરવો, મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિને મદદ કરવી, સત્ય બોલવું, પ્રામાણિકતા જાળવવી અને સમાજ માટે ઉપયોગી બનવું આ બધું જ શિવ સંકલ્પના વ્યવહારિક રૂપો છે. નાનાં-નાનાં શુભ કાર્યો જ મળીને મહાન પરિવર્તન સર્જે છે.
અંતમાં એટલું જ કહી શકાય કે શિવ સંકલ્પ એ જીવનને ઉજ્જવળ બનાવતો આંતરિક પ્રકાશ છે. તે આપણને માત્ર સારા માણસ બનવાનું નહીં, પરંતુ સારા સમાજ અને સારા રાષ્ટ્રના નિર્માતા બનવાનું પણ શીખવે છે. આજે વિશ્વને સૌથી વધુ જરૂર શસ્ત્રોની નથી, પરંતુ શુભ વિચારોની છે; સંપત્તિની નથી, પરંતુ સંસ્કારોની છે; શક્તિની નથી, પરંતુ શિવ સંકલ્પની છે. તેથી આપણે સૌએ દરરોજ પોતાના અંતરમાં એક જ પ્રાર્થના કરવી જોઈએ‘‘તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ.‘‘અર્થાત્? મારું મન સદા શુભ, પવિત્ર, કલ્યાણકારી અને માનવતાના હિતમાં કાર્ય કરનારા સંકલ્પોથી પરિપૂર્ણ રહે.

