ત્રણ દાયકાની અવિરત શ્રદ્ધા ૧૯૭૧માં પિતાએ લીધેલા સંકલ્પથી શરૂ થયેલી પરંપરા, ૧૯૯૦થી લઈને અવિરત ૩૬ વર્ષથી નિઃશુલ્ક ધજા સેવાને આગળ ધપાવતી નવી પેઢી
આલેખન: ભાવિકા લીંબાસીયા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલા પૌરાણિક Trinetreshwar Mahadev મંદિરના સાન્નિધ્યમાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો યોજાવાની તૈયારીઓ શરૂ થતાં જ ભાવિકો અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તરણેતરના મેળાની આગવી પરંપરાઓમાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવાની પરંપરા પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પરંપરાને જાળવી રાખતાં સુરેન્દ્રનગરના સોલંકી પરિવાર દ્વારા છેલ્લાં ૩૬ વર્ષથી મંદિર માટે બાવન ગજની ધજા નિઃશુલ્ક તૈયાર કરવામાં આવે છે.
તરણેતરના મેળાની ઓળખ બનેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પર જ્યારે વિશાળ ધજા પવન સાથે લહેરાય છે, ત્યારે તેની સાથે વર્ષોની આસ્થા, સંકલ્પ અને પરંપરાની ગાથા પણ જીવંત બને છે. આ ધજા પાછળ સુરેન્દ્રનગરના એક પરિવારની ત્રણ દાયકાથી વધુ સમયની અવિરત શ્રદ્ધા જોડાયેલી છે. સુરેન્દ્રનગરની બહુચર હોટલ પાસે રહેતા કેયુર પ્રફુલભાઈ સોલંકી પોતાના પરિવારની આ પરંપરાને શ્રદ્ધાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. દર વર્ષે નવી કલ્પના, આગવી ડિઝાઇન અને કલાત્મક કારીગરી સાથે તૈયાર થતી ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવને અર્પણ કરવામાં આવે છે.
સોલંકી પરિવારની આ ધાર્મિક સેવા પાછળ વર્ષ ૧૯૭૧માં લેવાયેલો એક સંકલ્પ રહેલો છે. કેયુરભાઈના પિતાએ તે વર્ષે ત્રિનેત્રેશ્વર મહાદેવ માટે ધજા બનાવવાનો સંકલ્પ લીધો હતો. લાંબા સમયની સાધના અને સંકલ્પ બાદ વર્ષ ૧૯૯૦માં આ કાર્ય પૂર્ણ થયું. ત્યારથી ધજા બનાવવાની અને અર્પણ કરવાની પરંપરા સતત આગળ વધી રહી છે. વર્ષ ૧૯૯૦થી શરૂ થયેલી આ અવિરત શ્રદ્ધાયાત્રામાં આ વર્ષે કેયુરભાઈ પોતાની ૩૬મી ધજા અર્પણ કરવા જઈ રહ્યા છે.
દર વર્ષે ધજાને આગવી ઓળખ આપવા માટે તેની ડિઝાઇનમાં નવીનતા લાવવામાં આવે છે. આ વર્ષે તૈયાર કરાયેલી ધજામાં કેસરી રંગના કાપડ પર ટિક્કાની સુંદર અને કલાત્મક ડિઝાઇન ઉપસાવવામાં આવી છે. ધજાના મધ્યભાગમાં વાદળી રંગનો ૐ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. તેની ફરતે કાંગરાવાળી બોર્ડર તૈયાર કરવામાં આવી છે. બીલીપત્રના પાનની ઝીણવટભરી ડિઝાઇન દ્વારા ધજાની ધાર્મિક ભાવનાને વધુ સુંદર અભિવ્યક્તિ આપવામાં આવી છે.
આ વર્ષની કલાત્મક ધજાનું વજન આશરે સાડા સાત કિલો છે. તેના નિર્માણમાં કારીગરોને સતત પંદર દિવસ જેટલો સમય લાગ્યો છે. વિશાળ કદની ધજા તૈયાર કરવા માટે કાપડની પસંદગી, માપણી, કટિંગ, સિલાઈ અને કલાત્મક સજાવટ સહિતની વિવિધ પ્રક્રિયાઓમાં ઝીણવટપૂર્વક કામગીરી કરવામાં આવે છે. ધાર્મિક ભાવનાને અનુરૂપ ડિઝાઇન તૈયાર કરવાની સાથે ધજાની મજબૂતી અને શિખર પર લહેરાતી વખતે તેનું સંતુલન જળવાઈ રહે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
સોલંકી પરિવારની આ પરંપરામાં દર વર્ષે નવી થીમને સ્થાન આપવામાં આવે છે. અગાઉના વર્ષોમાં નંદી, હર હર મહાદેવ અને ૐ નમઃ શિવાય જેવાં પવિત્ર ચિહ્નો અને સંદેશ સાથે ધજાઓ તૈયાર કરવામાં આવી છે. દરેક ધજા પાછળ અલગ વિચાર, કલ્પના અને કારીગરીનો સમન્વય જોવા મળે છે. આ રીતે ધાર્મિક આસ્થાની સાથે પરંપરાગત કારીગરી અને સર્જનાત્મકતાને પણ જીવંત રાખવાનું કાર્ય થઈ રહ્યું છે.
ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પર લહેરાતી બાવન ગજની ધજાનું માપ પણ ધાર્મિક અને ખગોળીય માન્યતાઓ સાથે જોડાયેલું છે. કેયુરભાઈની સમજણ મુજબ બાવનનો આંકડો બ્રહ્માંડનાં મુખ્ય તત્ત્વોના સંકલનનું પ્રતીક માનવામાં આવે છે. ૨૭ નક્ષત્ર, ૧૨ રાશિ, ૪ દિશા અને ૯ ગ્રહોના આંકડાનો સરવાળો બાવન થાય છે. આ ધાર્મિક ગણિતના આધારે ધજાનું માપ બાવન ગજ રાખવામાં આવે છે.
ભારતીય ધાર્મિક પરંપરામાં નક્ષત્રો, રાશિઓ, દિશાઓ અને ગ્રહોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આકાશીય વ્યવસ્થા સાથે જોડાયેલાં આ તત્ત્વોને એકસાથે સાંકળતો બાવનનો આંકડો ત્રિનેત્રેશ્વર મહાદેવની ધજા સાથે વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. તેથી બાવન ગજની ધજા માત્ર વિશાળ કદનું ધાર્મિક પ્રતીક જ નથી, પરંતુ પરંપરાગત માન્યતા અને સાંસ્કૃતિક આસ્થાની અભિવ્યક્તિ પણ છે.
તરણેતરનો મેળો સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને પરંપરાગત જીવનશૈલીનું આગવું પ્રતિબિંબ છે. મેળામાં દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહે છે. મંદિરના શિખર પર લહેરાતી બાવન ગજની ધજા મેળાના ધાર્મિક વાતાવરણને વિશિષ્ટ બનાવે છે. આ ધજા સાથે જોડાયેલી પરંપરાઓ તરણેતરની સાંસ્કૃતિક વિરાસતને વધુ સમૃદ્ધ બનાવે છે.
કેયુરભાઈ સોલંકી માટે દર વર્ષે ધજા તૈયાર કરવી એ શ્રદ્ધા અને સેવાનો પ્રસંગ છે. પિતાએ વર્ષ ૧૯૭૧માં લીધેલા સંકલ્પથી શરૂ થયેલી પરંપરા આજે ૩૬મી ધજા સુધી પહોંચી છે. આ સફરમાં સમય બદલાયો, કારીગરીની રીતોમાં પરિવર્તન આવ્યું અને ડિઝાઇનમાં નવીનતા ઉમેરાઈ, પરંતુ ધજા પ્રત્યેની શ્રદ્ધા અડગ રહી છે. નવી પેઢીને પણ આ પરંપરા સાથે જોડીને ધાર્મિક વારસાને આગળ ધપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પર બાવન ગજની ધજા લહેરાશે ત્યારે તેમાં કલાત્મક ડિઝાઇનની સાથે સોલંકી પરિવારની દાયકાઓ જૂની શ્રદ્ધા, પિતાનો સંકલ્પ, કારીગરોની મહેનત, ધાર્મિક માન્યતાઓ અને પરંપરાને જાળવી રાખવાની ભાવના એકસાથે અભિવ્યક્ત થશે. તરણેતરના મેળાની ભવ્યતા વચ્ચે આ ધજા ગુજરાતની જીવંત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાની ગૌરવપૂર્ણ ઓળખ બનીને આકાશમાં લહેરાતી રહેશે.

