ધર્મથી ઉપર દેશ… દેશથી ઉપર માનવતા; કોમી સૌહાર્દની રક્ષા કરતાં ૧ જુલાઈ, ૧૯૪૬ના રોજ શહીદ થઈ રાષ્ટ્રીય એકતાનો અવિનાશી સંદેશ આપ્યો
રાજકોટ સત્યાગ્રહથી ’ભારત છોડો’ આંદોલન સુધી સક્રિય યોગદાન; સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક વખત જેલવાસ ભોગવ્યો
આલેખન ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
કેટલાક શહીદોના નામ ઇતિહાસના સુવર્ણ અક્ષરોમાં અંકિત થયા છે, તો કેટલાક એવા પણ છે જેમણે કોઈ પ્રતિફળની અપેક્ષા વિના રાષ્ટ્રસેવાના માર્ગૅ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. પોતાના ધર્મ કરતાં દેશને અને પોતાની સુરક્ષા કરતાં માનવતાને વધુ મહત્ત્વ આપનાર આવા વિરલ વ્યક્તિત્વોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના સ્વાતંત્ર્ય સેનાની રજબઅલી ગુલામઅલી લાખાણીનું નામ ગૌરવપૂર્વક લેવામાં આવે છે. ખાદીને જીવનમંત્ર બનાવનાર આ યુવાને સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય યોગદાન આપ્યું અને અંતે કોમી સૌહાર્દની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપી દેશભક્તિનો અનોખો આદર્શ સ્થાપ્યો.
૨૨ જુલાઈ, ૧૯૧૯ના રોજ જન્મેલા રજબઅલી ગુલામઅલી લાખાણીનો વિદ્યાર્થીકાળ કરાચીમાં પસાર થયો હતો. બાળપણથી જ તેઓ અભ્યાસપ્રેમી, જિજ્ઞાસુ અને વાંચનના શોખીન હતા. તે સમય દરમિયાન દેશભરમાં ચાલી રહેલી રાષ્ટ્રીય ચળવળ અને સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાઓએ તેમના મન પર ઊંડી અસર કરી. ૧૯૩૦ના દાંડીકૂચ અને સવિનય કાનૂનભંગ આંદોલનથી પ્રેરાઈ તેમણે વિદેશી કપડાંનો ત્યાગ કરીને ખાદી અપનાવી અને માંસાહાર પણ છોડી દીધો. પરિવારના વિરોધ છતાં તેઓ પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા.
કરાચીમાં બબલભાઈ મહેતાના સંપર્કમાં આવ્યા બાદ તેમના રાષ્ટ્રવાદી વિચારોને વધુ દિશા મળી. અભ્યાસમાં તેજસ્વી રજબઅલી શિક્ષકો અને સહાધ્યાયીઓમાં લોકપ્રિય હતા, પરંતુ તેમના માટે વ્યક્તિગત કારકિર્દી કરતાં દેશસેવા વધુ મહત્ત્વની હતી. ભાવનગર આવ્યા બાદ તેમણે સ્વાતંત્ર્ય સેનાની વજુભાઈ શાહના માર્ગદર્શન હેઠળ યુવાનોને સંગઠિત કરવાનું કાર્ય શરૂ કર્યું. દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાથી ઓતપ્રોત સ્વયંસેવકો તૈયાર કરવા માટે તેમણે યુવા સંગઠનની રચના કરી. ધીમે ધીમે તેમણે અભ્યાસને પાછળ મૂકી પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવાના કાર્ય માટે સમર્પિત કરી દીધું. વર્ષ ૧૯૩૮માં તેઓ રાજકોટ સત્યાગ્રહમાં જોડાયા. યુવાનો સાથે સરઘસો યોજવા, રાષ્ટ્રીય ભાષાના પ્રચાર માટે જનજાગૃતિ ફેલાવવી અને સ્વાતંત્ર્યના સંદેશને ગામેગામ પહોંચાડવા તેમણે સતત પ્રયત્નો કર્યા. ત્યારબાદ તેઓ કોંગ્રેસ સેવા દળના સક્રિય સ્વયંસેવક બન્યા. સેવા દળના દળપતિ વસંતરાય સાથે તેમની ગાઢ મિત્રતા બંધાઈ અને બંનેએ અનેક રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સાથે મળીને કાર્ય કર્યું.
૧૯૪૧માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી અને જેલવાસ ભોગવવો પડ્યો. જેલની કઠિન પરિસ્થિતિઓએ તેમના મનોબળને વધુ મજબૂત બનાવ્યું. ૧૯૪૨ના ’ભારત છોડો’ આંદોલન દરમિયાન તેઓ ફરીથી સક્રિય બન્યા. આ આંદોલન દરમિયાન તેમની બે વખત ધરપકડ કરવામાં આવી અને ભાવનગરની જેલમાં કેદ કરવામાં આવ્યા. અનેક મુશ્કેલીઓ અને સરકારી દમન છતાં તેમની દેશસેવાની ભાવના ક્યારેય નબળી પડી નહિ. ૧૯૪૬માં તેઓ કોંગ્રેસ સેવા દળના કાર્ય માટે અમદાવાદ સ્થાયી થયા. દેશ સ્વાતંત્ર્યના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ અનેક સ્થળોએ કોમી તણાવ અને હિંસાની ઘટનાઓ બની રહી હતી. આવી પરિસ્થિતિમાં રજબઅલી લાખાણી અને તેમના સાથી વસંતરાય લોકોમાં શાંતિ, ભાઈચારો અને માનવતાનો સંદેશ ફેલાવવા માટે સતત કાર્યરત રહ્યા.
પરંતુ ૧ જુલાઈ, ૧૯૪૬ના રોજ અમદાવાદમાં ભડકેલા કોમી હુલ્લડ દરમિયાન તોફાની ટોળાએ રજબઅલી લાખાણી અને વસંતરાય પર જીવલેણ હુમલો કર્યો. માનવતા અને કોમી એકતાની રક્ષા માટે કાર્ય કરતાં કરતાં બંને મિત્રોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. તેમનું આ બલિદાન સ્વાતંત્ર્ય સંગ્રામનો જ નહીં, પરંતુ માનવતા અને રાષ્ટ્રીય એકતાનો પણ અમૂલ્ય વારસો બની રહ્યું છે. રજબઅલી લાખાણી અને વસંતરાયના જીવન, સંઘર્ષ અને બલિદાનને ચિરંજીવ બનાવવા માટે ’વસંત-રજબ સ્મારક ગ્રંથ’ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથ તેમના રાષ્ટ્રપ્રેમ, સેવાભાવ અને કોમી સૌહાર્દના મૂલ્યોને આજે પણ જીવંત રાખે છે.
અમદાવાદમાં વસંત અને રજબની અમર જોડી અને તેમની કોમી એકતાની યાદોને જીવંત રાખવા માટે સરકારી અને સામાજિક સ્તરે અનેક સ્મારકો, મ્યુઝિયમ અને શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૫માં ગુજરાત સરકાર દ્વારા ગાયકવાડ હવેલીના ઐતિહાસિક વૉચ ટાવર ખાતે ત્રિ-સ્તરીય ’બંધુત્વ સ્મારક’નું ઉદૃઘાટન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં બંને શહીદોના જીવન ચરિત્ર, તેમના અસલી ફોટોગ્રાફ્સ, જેલના રેકોર્ડ, ચશ્મા અને તે સમયના અખબારોના કટિંગ્સ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જમાલપુર વિસ્તારમાં જે ચોક્કસ જગ્યાએ વસંત અને રજબે હિંસક ટોળા સામે પોતાના પ્રાણની આહુતિ આપી હતી, ત્યાં તેમની યાદમાં એક ભવ્ય એકતા સ્તંભ અને બંને મિત્રોની કાંસાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.
આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવતા આજે જ્યારે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરીએ છીએ, ત્યારે રજબઅલી ગુલામઅલી લાખાણીનું જીવન આપણને એક અનોખો સંદેશ આપે છે સાચો દેશપ્રેમ દરેક સંજોગોમાં માનવતાની રક્ષા કરવામાં અને રાષ્ટ્રહિતને સર્વોપરી માની એકતા, સહિષ્ણુતા અને માનવતાના મૂલ્યોને જીવંત રાખવામાં રહેલો છે. આવા વિસ્મૃત રત્નોની ગાથાઓ જ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને સાચા અર્થમાં પૂર્ણ બનાવે છે.

