યહ મેં મતમિદં નિત્યમનુતિષ્ઠન્તિ માનવાઃ
શ્રદ્ધાવન્તોઽનસૂયન્તો મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ
(યે-જે, માનવાઃ-માણસો,અનસૂયન્તઃ-દોષદ્રષ્ટિ રહિત થઇને, શ્રદ્ધાવંતઃ-શ્રદ્ધાપૂર્વક, મે-મારા, ઇદમ્-આ, મતમ્-મતને, નિત્યમ્-સદા, અનુતિષ્ઠન્તિ-અનુસરે છે, તે-તેઓ, અપિ-પણ, કર્મભિઃ-સર્વ કર્મથી, મુચ્યન્તે-છુટી જાય છે.)
જે માણસો દોષદ્રષ્ટિ રહિત થઇને શ્રદ્ધાપૂર્વક મારા આ મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વ કર્મથી છુટી જાય છે.
કોઇપણ વર્ણ,આશ્રમ,ધર્મ,સંપ્રદાય વગેરેનો કોઇપણ મનુષ્ય જો કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતો હોય તો તેણે આ સિદ્ધાંતને માનીને તેનું અનુસરણ કરવું જોઇએ.શરીર,ઇન્દિયો,મન,બુદ્ધિ,પદાર્થ,કર્મ વગેરે કંઇપણ પોતાનું નથી-આ વાસ્તવિકતાને જાણી લેવાવાળા તમામ મનુષ્યો કર્મબંધનથી છુટી જાય છે.
મનુના વંશમાં ચાલ્યા તેને માનવ કહેવાય,આદમના વંશમાં ચાલ્યા તેને આદમી કહેવાય.આપણે સુષ્ટિની શરૂઆતમાં પ્રથમ પુરૂષને મનુ માનીએ છીએ,તેથી આપણે માનવ છીએ.આવા મનુષ્યના બે ભેદ છેઃશ્રદ્ધાળુ અને અશ્રદ્ધાળુ.જે શ્રદ્ધાળુ છે,પ્રભુના મતમાં વિશ્વાસ કરનારા છે તે જ આ કર્મલોલુપતાના ત્યાગ રૂપી ઉપદેશને ગ્રહણ કરશે અને ચાલશે.
ભગવાન અને તેમના મતમાં પ્રત્યક્ષની જેમ નિઃસંદેહ દ્રઢ વિશ્વાસ અને પૂજ્યભાવથી યુક્ત મનુષ્યને શ્રદ્ધાવંતઃ કહેવાય છે.
શરીર વગેરે જડ પદાર્થોને પોતાના અને પોતાને માટેના ન માનવાથી મનુષ્ય મુક્ત થઇ જાય છે-આ વાસ્તવિકતા ઉપર શ્રદ્ધા થવાથી જડતાની સાથે માનેલા સબંધનો ત્યાગ કરવો સુગમ થઇ જાય છે. શ્રદ્ધાવાન સાધક જ સતશાસ્ત્ર,સતચર્ચા અને સત્સંગની વાતો સાંભળે છે અને તેને આચરણમાં મૂકે છે.
મનુષ્ય શરીર પરમાત્મા-પ્રાપ્તિના માટે જ મળ્યું છે,આથી પરમાત્માને જ પ્રાપ્ત કરવાની એકમાત્ર ઉત્કટ અભિલાષા થતાં સાધકમાં શ્રદ્ધા,તત્પરતા,ઇન્દ્રિયોનો સંયમ વગેરે આપોઆપ આવી જાય છે.આથી સાધકે મુખ્યરૂપે પરમાત્મા-પ્રાપ્તિની અભિલાષાને જ તીવ્ર બનાવવી જોઇએ.
ગીતાના શ્ર્લોક(૩/૩૦)માં ભગવાને પોતાનો જે મત બતાવ્યો છે તેમાં દોષદ્રષ્ટિ ન કરવા માટે અહી ‘અનસૂયન્તઃ’(એટલે દોષદ્રષ્ટિ રહિત થઇને) પદ આપવામાં આવ્યું છે.ગુણોમાં દોષ દેખવો એને ‘અસૂયા’ કહે છે.અસૂયા એટલે કે દોષદ્રષ્ટિથી રહિત મનુષ્યોને અહી અનસૂયન્તઃ કહેવામાં આવ્યા છે.અસૂયા એટલે ગુણોમાં પણ દોષદર્શન કરવું.દોષોમાં દોષ દેખાય તે તો ઠીક પણ આને તો ઉત્તમ ગુણોમાં પણ દોષો દેખાય છે.ઇર્ષાળુ કરતાં પણ ખરાબ કહેવાય,જે આવો ના હોય પણ ગુણોમાં ગુણદર્શન કરનારો હોય તે બધાં કર્મોથી મુક્ત થઇ જાય છે,કર્મો તેનાં બાંધતાં નથી.
જ્યાં શ્રદ્ધા રહે છે ત્યાં પણ કોઇ અંશમાં દોષદ્રષ્ટિ રહી શકે છે એટલા માટે ભગવાને શ્રદ્ધાવંતઃ પદની સાથે અનસૂયન્તઃ પદ પણ આપીને મનુષ્યને દોષદ્રષ્ટિથી સર્વથા રહિત પૂર્ણ શ્રદ્ધાવાન થવા માટે કહ્યું છે. આ જ રીતે ગીતા શ્રવણનું માહાત્મય બતાવતાં પણ ભગવાને શ્રદ્ધાવાનનસૂયશ્વ (૧૮/૭૧) પદ આપીને શ્રોતાઓના માટે શ્રદ્ધાયુક્ત અને દોષદ્રષ્ટિથી મુક્ત થવાની વાત કહી છે.
ભગવાનનો મત તો ઉત્તમ છે પણ ભગવાન કેટલી આત્મશ્ર્લાઘા અને અભિમાનની વાત કહે છે કે ‘સર્વ કંઇ મને અર્પણ કરી દો’ અથવા ‘આ મત તો સારો છે પણ કર્મો દ્વારા ભગવત્પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે? કર્મો તો જડ અને બાંધવાવાળા હોય છે’ વગેરે ભાવ આવવા એ જ ભગવાનના મતમાં દોષદ્રષ્ટિ કરવા જેવું છે.સાધકે ભગવાન અને તેમનો મત-બંન્નેયમાં દોષદ્રષ્ટિ કરવી જોઇએ નહી.વાસ્તવમાં સર્વ કંઇ ભગવાનનું જ છે પરંતુ મનુષ્ય ભૂલથી ભગવાનની વસ્તુઓને પોતાની માનીને બંધાઇ જાય છે અને મમતા તથા કામનાને વશ થઇને દુઃખ પામતો રહે છે.આથી આ પોતાપણાનો ત્યાગ કરાવડાવીને મનુષ્ય સદાને માટે સુખી થઇ જાય,તેનો ઉદ્ધાર કરવા માટે ભગવાન પોતાની સહજ કરૂણાથી સર્વ કંઇ પોતાને અર્પણ કરવાની વાત કહે છે.આથી આ વિષયમાં દોષદ્રષ્ટિ કરવી અનુચિત છે.આ તો ભગવાનનું પરમ સૌહાર્દ, કારૂણ્ય અને વાત્સલ્ય જ છે કે પોતાનામાં કોઇ અપૂર્ણતા-ઉણપ અને આવશ્યકતા ન હોવા છતાં પણ ફક્ત મનુષ્યના કલ્યાણાર્થે તેઓ સમસ્ત કર્મો પોતાને અર્પણ કરવા માટે કહે છે.
ભગવાનનો મત જ લોકમાં ‘સિદ્ધાંત’ કહેવાય છે.સર્વોપરી સિદ્ધાંતને જ અહી ‘મતમ્’ પદ વડે કહેવામાં આવ્યો છે.ભગવાને પોતાની સહજ સરળતા તેમજ નિરાભિમાનતાને કારણે સર્વોપરી સિદ્ધાંતને ‘મત’ નામથી કહ્યો છે.કોઇ શ્રદ્ધા કરે કે ના કરે આ મત કે સિદ્ધાંત ત્રિકાળમાં એક જેવો રહે છે એટલે કે એમાં ક્યારેય કોઇ પરીવર્તન થતું નથી.ભગવાન નિત્ય છે,આથી તેમનાથી સબંધિત તમામ વસ્તુઓ પણ નિત્ય છે.ભગવાનનો મત પણ નિત્ય છે.ભગવાનનો મત સર્વોપરી સિદ્ધાંત છે અને સિદ્ધાંત તે જ હોય છે જે ક્યારેય દૂર થતો નથી.આથી ભગવાનનો મત તો નિત્ય જ છે,તેનું અનુષ્ઠાન નિત્ય થવું જોઇએ એટલા માટે અહી ક્રિયાવિશેષણ ‘નિત્યમ્’ પદ મુકવાનો અર્થ એ છે કે ભગવાનના મત અંગે સદાય સ્થિર રહેવું તથા તે અનુસાર અનુષ્ઠાન કરવું.
મળેલી કોઇપણ વસ્તુ પોતાની નથી-આ ભગવાનનો મત છે.શરીર,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,પાણ,ધન, સંપત્તિ,પદાર્થ વગેરે સર્વે પ્રકૃત્તિનાં કાર્ય છે અને સંસાર પણ પ્રકૃત્તિનું કાર્ય છે એટલા માટે એ વસ્તુઓની સંસાર સાથે એકતા છે તથા સ્વયં પરમાત્માનો અંશ હોવાથી ‘પોતા’ની પરમાત્મા સાથે એકતા છે.આથી એ વસ્તુઓ વ્યક્તિગત નથી.જો કે એમના ઉપયોગનો અધિકાર વ્યક્તિગત છે.એ સિવાય સદગુણ,સદાચાર, ત્યાગ,વૈરાગ્ય,દયા,ક્ષમા વગેરે પણ વ્યક્તિગત નથી પરંતુ ભગવાનનાં છે.એ દૈવીસંપત્તિ હોવાથી ભગવાનનાં જ છે.જો એ સદગુણ,સદાચાર વગેરે પોતાનાં હોત તો એમના ઉપર આપણાં પુરો અધિકાર હોત અને આપણી સંમતિ વિના કોઇ બીજાને એની પ્રાપ્તિ ના થાત.એમને પોતાનાં માનવાથી તો અભિમાન જ થાય છે,જે આસુરીસંપત્તિનું મૂળ છે.
જે વસ્તુ પોતાની નથી તેને પોતાની માનવાથી અને તેની પ્રાપ્તિને માટે કર્મ કરવાથી બંધન થાય છે.શરીર વગેરે વસ્તુઓ પોતાની તો છે જ નહી,પોતાને માટેની પણ નથી.જો એ પોતાને માટેની હોત તો તેની પ્રાપ્તિથી આપણને પૂર્ણ તૃપ્તિ કે સંતોષ થઇ જાત,પૂર્ણતાનો અનુભવ થઇ જાત પરંતુ સાંસારીક વસ્તુઓ કેટલીય કેમ ના મળી જાય ક્યારેય તૃપ્તિ થતી નથી.તૃપ્તિ કે પૂર્ણતાનો અનુભવ ભગવાનના મળવાથી થાય છે,જે વાસ્તવમાં પોતાની છે.પોતાની વાસ્તવિક વસ્તુ મળી જતાં પછી સ્વપ્નમાં પણ કંઇ જ મેળવવાની ઇચ્છા રહેતી નથી.જ્યાંસુધી વધુ મેળવવાની ઇચ્છા રહે છે ત્યાંસુધી એમ જ સમજવું જોઇએ કે પોતાની વસ્તુ મળી જ નથી.શરીર વગેરે પ્રાપ્ત વસ્તુઓને ન તો આપણે આપણી સાથે લાવ્યા અને ન તો પોતાની સાથે લઇ જઇ શકીએ છીએ તથા વર્તમાનમાં પણ એ આપણાથી પ્રતિક્ષણ વિખૂટી પડી રહી છે.જે પોતાની પ્રતિત થાય છે તે પોતાનો અધિકાર જમાવવા માટે નહી પરંતુ બીજાઓના હિતમાં વાપરવા માટે છે.સર્વસ્વ ભગવદ્ અર્પણ કર્યા બાદ લાભ-હાનિ,માન-અપમાન,સુખ-દુઃખ વગેરે જે કંઇ આવે તેને પણ સાધક ભગવાનનાં જ માને છે અને તેમની સાથે પોતાનું કોઇ પ્રયોજન ન રાખે.પરિસ્થિતિને અનુરૂપ પ્રસન્નતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરતા રહેવું-આ જ ભગવાનના મતનું અનુસરણ કરવું કહેવાય.
મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે હું તને તો સર્વસ્વ મને અર્પણ કરીને કર્તવ્યકર્મ કરવાની સ્પષ્ટ આજ્ઞા દઇ રહ્યો છું,આથી મારી આજ્ઞાનું પાલન કરવાથી તારે મુક્ત થવામાં કોઇ સંદેહ નથી પરંતુ જેમને હું આ પ્રકારે સ્પષ્ટ આજ્ઞા નથી દેતો તેઓ પણ જો આ મત (મળેલાને પોતાનું ન માનીને કર્તવ્યકર્મનું પાલન કરવું)ને અનુસરીને ચાલશે તો તેઓ પણ મુક્ત થઇ જશે કારણ કે આ મત જ એવો છે કે ભલે મને માને કે ના માને,ફક્ત આ મતનું પાલન કરવાથી જ મનુષ્ય મનુષ્ય મુક્ત થઇ જાય છે.ભગવાનનો મત જ વાસ્તવિક અને સર્વોપરી સિદ્ધાંત છે જેના અંતર્ગત બધા જ મતમતાંતર આવી જાય છે પરંતુ ભગવાન અભિમાન ન કરતાં ખુબ જ સરળતાથી,વિનમ્રતાથી સિદ્ધાંતને મત નામથી કહે છે. ભગવાને પોતાના અથવા બીજા કોઇના પણ મતનો આગ્રહ રાખ્યો નથી પરંતુ નિષ્પક્ષ બનીને પોતાની વાત પ્રસ્તુત કરી છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

