રાગ-દ્વેષને વશ થઇને શું કરવું જોઇએ અને શું ના કરવું જોઇએ? તેનો જવાબ આગળના શ્ર્લોક (૩/૩૫)માં આપતાં ભગવાન કહે છે કે..
શ્રેયાન્સ્વધર્મો વિગુણઃપરધર્માત્સ્વનુષ્ટિતાત્
સ્વધર્મે નિધનં શ્રેય પરધર્મો ભયાવહઃ
(સ્વનુષ્ટિતાત્-સારી રીતે આચરવામાં આવેલા, પરધર્માત્-અન્યના ધર્મ કરતાં, વિગુણઃ-ગુણોની કમીવાળો, સ્વધર્મઃ-પોતાનો ધર્મ, શ્રેયાન્-શ્રેષ્ઠ છે, સ્વધર્મે-પોતાના ધર્મમાં તો, નિધનમ્-મરવું પણ, શ્રેયઃ-કલ્યાણકારી છે અને, પરધર્મઃ-અન્યનો ધર્મ, ભયાવહઃ-ભયપ્રદ છે)
સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણોની કમીવાળો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે અને અન્યનો ધર્મ તો ભયપ્રદ છે.
અન્ય વર્ણ-આશ્રમ વગેરેનો ધર્મ(કર્તવ્ય) બહારથી દેખવામાં ગુણ સંપન્ન હોય,તેના પાલનમાં પણ સુગમતા હોય,પાલન કરવામાં મન પણ લાગતું હોય,ધન-વૈભવ,સુખ-સુવિધા,માન-બડાઇ વગેરે પણ મળતાં હોય અને જીવનભર સુખ-આરામ રહી શકાતું હોય તો પણ તે પરધર્મનું પાલન પોતાના માટે વિહિત ન હોવાથી પરીણામમાં ભય(દુઃખ)ને આપવાવાળું છે.આનાથી ઉલ્ટું પોતાના વર્ણ-આશ્રમ વગેરેનો ધર્મ બહારથી દેખવામાં ગુણોની ઉણપવાળો હોય, તેના પાલનમાં પણ કઠિનાઇ હોય,પાલન કરવામાં મન પણ લાગતું ના હોય,ધન-વૈભવ,સુખ-સુવિધા,માન-બડાઇ વગેરે પણ મળતાં ના હોય અને તેનું પાલન કરવામાં જીવનભર કષ્ટ સહન કરવું પડતું હોય તો પણ તે સ્વધર્મનું નિષ્કામભાવથી પાલન કરવું કલ્યાણકારક છે એટલા માટે મનુષ્યે કોઇપણ પરિસ્થિતિમાં પોતાના ધર્મનો ત્યાગ ના કરવો જોઇએ પરંતુ નિષ્કામ-મમતારહિત અને અનાસક્ત થઇને સ્વધર્મનું પાલન કરવું જોઇએ.
મનુષ્યના માટે સ્વધર્મનું પાલન સહજ અને સ્વાભાવિક છે.મનુષ્યનો જન્મ કર્મો અનુસાર થાય છે અને જન્મ અનુસાર ભગવાને કર્મ નિયત કર્યા છે.આથી પોતાના નિયત કર્મોનું પાલન કરવાથી મનુષ્ય કર્મ બંધનથી મુક્ત થઇ જાય છે,તેનું કલ્યાણ થાય છે એટલે દોષયુક્ત દેખાવા છતાં પણ નિયત કર્મ એટલે કે સ્વધર્મનો ત્યાગ ના કરવો.
વર્ણ-આશ્રમ વગેરેના અનુસાર પોતપોતાના કર્તવ્યનું નિઃસ્વાર્થભાવે પાલન કરવું એ જ સ્વધર્મ છે. આસ્તિકજનો જેને ધર્મ કહે છે તેનું નામ જ કર્તવ્ય છે.સ્વધર્મનું પાલન કરવું અથવા પોતાના કર્તવ્યનું પાલન કરવું એક જ વાત છે.કર્તવ્ય તેને કહે છે જેને સુગમતાપૂર્વક કરી શકાય,જે અવશ્ય કરવા યોગ્ય છે અને જેને કરવાથી પ્રાપ્તવ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા ધર્મ કરે છે.ધર્મના ઉપદેશક ભગવાન,વેદો-શાસ્ત્રો,ઋષિ-મુનિઓ ઉપર હોય છે તથા તેમની જ શક્તિથી તેનું કલ્યાણ થાય છે.અનેક કષ્ટ નિંદા અપમાન થવા છતાં રાજા હરિશ્ચંદ્ર પોતાના સત્ય ધર્મથી વિચલિત ના થયા આથી તેના પ્રભાવથી તે સમસ્ત પ્રજાને સાથે લઇને પરમધામ ગયા અને આજે પણ તેમની ઘણી જ પ્રસંશા અને મહિમા છે.પોતે પરમાત્માનો અંશ હોવાથી પોતાનું કલ્યાણ કરવું એ જ વાસ્તવમાં સ્વધર્મ છે.શરીરને હું અને મારૂં માનવાથી જ સંસારમાં રાગ-દ્વેષ થાય છે.રાગ-દ્વેષથી મનુષ્યને સ્વધર્મ-પરધર્મનું જ્ઞાન થતું નથી.જો મનુષ્ય સ્વાર્થભાવનો ત્યાગ કરીને પરહીતના માટે સ્વધર્મનું પાલન કરે તો તેને કોઇ ભય નથી.
પરમાત્મા અને તેમનો અંશ જીવાત્મા સ્વયં છે પ્રકૃતિ તથા તેનું કાર્ય (શરીર અને સંસાર) પરાયું છે. પોતાનો ધર્મ સ્વધર્મ અને અન્યનો ધર્મ પરધર્મ કહેવાય છે.યોગી બનવું એ સ્વધર્મ છે અને ભોગી બનવું એ પરધર્મ છે,નિર્લિપ્ત રહેવું એ સ્વધર્મ છે અને લિપ્ત બનવું એ પરધર્મ છે,સેવા કરવી એ સ્વધર્મ છે અને કંઇપણ ઇચ્છવું એ પરધર્મ છે,પ્રેમી બનવું એ સ્વધર્મ છે અને રાગી બનવું એ પરધર્મ છે,નિષ્કામ-નિર્મમ અને અનાસક્ત બનવું એ સ્વધર્મ છે તેમજ કામના-મમતા અને આસક્તિ કરવી એ પરધર્મ છે.પરમાત્માનો અંશ આત્મા સ્વ છે અને પ્રકૃતિનો અંશ શરીર પર છે.
મનુષ્યમાં બે પ્રકારની ઇચ્છા રહે છેઃસાંસારીક ભોગ તેમજ સંગ્રહની ઇચ્છા અને પોતાના કલ્યાણની ઇચ્છા.ભોગ અને સંગ્રહની ઇચ્છા પરધર્મ એટલે કે શરીરનો ધર્મ છે.પોતે પરમાત્માનો અંશ છે અને શરીર સંસારનો અંશ છે.જ્યારે મનુષ્ય પરમાત્માને પોતાના માની લે છે ત્યારે તે તેના માટે સ્વધર્મ બની જાય છે અને જ્યારે શરીર અને સંસારને પોતાના માની લે છે ત્યારે તે તેના માટે પરધર્મ બની જાય છે.
સ્થૂળ-સૂક્ષ્મ અને કારણ શરીરો દ્વારા કરવામાં આવતાં તીર્થ વ્રત દાન તપ ચિંતન ધ્યાન સમાધિ વગેરે તમામ શુભ કર્મો સકામભાવથી એટલે કે પોતાના માટે કરવામાં આવતાં પરધર્મ બની જાય છે અને નિષ્કામભાવથી બીજાઓના માટે કરવામાં આવતાં સ્વધર્મ બની જાય છે.મનુષ્યનું ખાસ કામ એ છે કે પરધર્મથી વિમુખ થવું અને સ્વધર્મની સન્મુખ થવું કે જે ફક્ત મનુષ્ય જ કરી શકે છે.
સંસારમાં જેટલાં પણ દુઃખ શોક ચિંતા વગેરે તમામ પરધર્મનો આશ્રય લેવાના કારણે છે.સ્વધર્મનો આશ્રય લેવાથી કાયમ રહેવાવાળા આનંદની પ્રાપ્તિ થાય છે.સ્વધર્મ કલ્યાણકારક અને પરરધર્મ ભયાવહ છે એવું જાણવા છતાં મનુષ્ય પોતે ન ઇચ્છતો હોવા છતાં પરાણે જોડ્યો હોય તેમ કોનાથી પ્રેરાઇને પાપનું આચરણ કરે છે? સ્વધર્મમાં પ્રવૃત્ત કેમ થતો નથી? તેનો જવાબ આપતાં ભગવાન કહે છે કે “રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ જ ક્રોધ છે,એ બહુ જ ખાવાવાળો અને મહાપાપી છે,એ વિષયમાં તું એને જ વૈરી જાણ.સાંસારીક પદાર્થોને સુખદાયી માનવાથી રાગ ઉત્પન્ન થાય છે,જેનાથી અંતઃકરણમાં તેનું મહત્વ દ્રઢ થઇ જાય છે,પછી એ જ પદાર્થોનો સંગ્રહ કરવાનો અને એના વડે સુખ લેવાની કામના ઉત્પન્ન થાય છે. ફરી કામનાથી પદાર્થોમાં રાગ વધે છે.આ ક્રમ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી પાપકર્મોથી સર્વથા નિવૃત્તિ થતી નથી. મારૂં મનગમતું થાઓ.આ જ કામના છે.ઉત્પત્તિ વિનાશશીલ જડ પદાર્થોના સંગ્રહની ઇચ્છા, સંયોગજન્ય સુખની ઇચ્છા,સુખની આસક્તિ..આ બધા “કામ“ ના જ રૂ૫ છે.પાપ કર્મ ક્યાંક “ક્રોધ“ ને વશીભૂત થઇને કરવામાં આવેલું દેખાય છે.બન્નેથી અલગ અલગ પાપો થાય છે.વાસ્તવમાં “કામ“ એટલે કે ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોની કામના.. પ્રિતિ અને આકર્ષણ જ તમામ પાપોનું મૂળ છે.કામનાની પૂર્તિ થતાં “લોભ“ ઉત્પન્ન થાય છે. “જિમિ પ્રતિ લાભ લોભ અધિકાઇ” અને કામનામાં વિઘ્ન પહોંચતાં વિઘ્ન પહોચાડનાર ઉપર “ક્રોધ“ ઉત્પન્ન થાય છે.જો વિઘ્ન પહોચાડવાવાળો પોતાથી અધિક બળવાન હોય તો ક્રોધ ઉત્પન્ન ન થતાં “ભય“ ઉત્પન્ન થાય છે.
દુર્યોધને કહ્યું છે કે “જાનામિ ધર્મ ન ચ મેવ પ્રવૃત્તિ,જાનામિ અધર્મ ન ચ મેવ નિવૃત્તિ.’’ હું ધર્મને સારી રીતે જાણું છું પરંતુ તેમાં મારી પ્રવૃત્તિ થતી નથી અને અધર્મને ૫ણ જાણું છું પરંતુ તેનાથી મારી નિવૃત્તિ થતી નથી.મારા હ્રદયમાં રહેલો કોઇ દેવ જ છે કે જે મારી પાસે આવું કરાવડાવે છે,તેવું જ હું કરૂં છું. દુર્યોધન દ્વારા કહેવાયેલો એ “દેવ“ વસ્તુતઃ “કામ“ એટલે કે સુખભોગ અને સંગ્રહની કામના છે. જેનાથી મનુષ્ય વિચારપૂર્વક જાણતો હોવા છતાં ૫ણ ધર્મનું પાલન અને અધર્મનો ત્યાગ કરી શકતો નથી.અર્જુનના પ્રશ્નનો અભિપ્રાય એ છે કે અશ્રધ્ધા, અસૂયા, દુષ્ટ ચિત્તતા, મુઢતા, પ્રકૃતિ(સ્વભાવ)ની પરવશતા, રાગ, દ્રેષ, સ્વધર્મમાં અરૂચિ અને ૫રધર્મમાં રૂચિ. આ પૈકી ક્યું કારણ છે કે જેના લીધે મનુષ્ય વિચારપૂર્વક ન ઇચ્છતો હોવા છતાં ૫ણ પાપમાં પ્રવૃત થાય છે..?
કર્મ અને વિકર્મ-નિષિધ્ધ કર્મ-બન્નેય કામનાના કારણે થાય છે.કામનાના કારણે “કર્મો“ થાય છે અને કામનાના અધિક વધવાથી “વિકર્મો“ થાય છે.કામનાના કારણે જ અસતમાં આસક્તિ દ્રઢ થાય છે. કામનાઓની પૂર્તિ સંસારમાં આજ સુધી કોઇની થઇ નથી.આપણી તો વાત જ શું ભગવાનશ્રી રામના પિતા દશરથ રાજાની ૫ણ કામના પૂરી નથી થઇ..! આથી કામનાઓની પૂર્તિ થવી અસંભવ છે પરંતુ કામનાઓનો ત્યાગ કરવો અસંભવ નથી.
વાસનાઓનું વિસર્જન આપણે શી રીતે કરી શકીએ તેની પદ્ધતિ આ શ્ર્લોકમાં સમજાવવામાં આવી છે.સંસ્કૃતમાં ધર્મ શબ્દ એક કરતાં વધુ અર્થમાં વપરાય છે.ધાર્મિકતા,સદ્વ્યવહાર,કર્તવ્ય,સદગુણ વગેરે વિભિન્ન અર્થોમાં આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.ધર્મની વ્યાખ્યા આપણે જોઇ ગયા છીએ કે જેના કારણે કોઈ પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થાય તેને તે પદાર્થનો ધર્મ કહેવામાં આવે છે.
એક વ્યક્તિથી વ્યક્તિની ભિન્નતા તેના વિચારો દ્વારા નક્કી થાય છે.આ વિચારોનું સ્તર,ગુણ,દિશા, વગેરે વ્યક્તિની વાસનાઓ પર આધારિત છે.આ જ માનવ સ્વભાવ કે ધર્મ છે તેથી મન-સંયમના આ પ્રકરણમાં ધર્મ એટલે કે દરેક વ્યક્તિની વાસનાઓનો ઉલ્લેખ છે.સ્વધર્મનો અર્થ કોઈ જાતિ વિશેષમાં જન્મ લેવાથી પ્રાપ્ત થતાં કર્તવ્યો નથી.સ્વધર્મનો સાચો અર્થ છે પોતાની વાસનાઓ,સ્વયંની સહજ અને સ્વાભાવિક વાસનાઓ અનુસાર કાર્ય કરવાથી જ જીવનમાં શાંતિ અને આનંદ, સફળતા અને સંતોષનો અનુભવ થાય છે તેથી પરધર્મનો અર્થ એમ થાય કે બીજાના સ્વભાવ પ્રમાણે વ્યવહાર અને કર્મ કરવા જે ભયાવહ છે.આમાં બે મંતવ્યો હોઈ શકે નહીં.
ગીતાજીમાં અર્જુનના સ્વભાવને જોઈને ભગવાન તેમને લડવાનો સ્પષ્ટ ઉપદેશ આપે છે.રાજકુમાર અર્જુને તેમના વિદ્યાર્થી જીવનમાં જ સાહસ અને શૂરવીરતા દર્શાવી હતી અને ધનુર્વિદ્યામાં નિપુણતા પણ પ્રાપ્ત કરી હતી તેથી યુદ્ધ જેવા જોખમી કર્મ તેમના સ્વભાવને અનુરૂપ હતા,તેમનો સ્વધર્મ હતો.કદાચિત પ્રથમ અધ્યાયમાં સ્પષ્ટ કરવામાં આવ્યું તેમ અર્જુને પ્રારંભિક શિક્ષણકાળમાં એવું શિક્ષણ મેળવ્યું હશે કે સંન્યાસ અને ચિંતનમય જીવન,બ્રાહ્મણનું જીવન પોતાના જીવન કરતાં વધુ ઉદાત્ત છે અને એટલે જ તે યુદ્ધભૂમિ છોડીને મનન-ચિંતન કરવા માટે કોઈ ગુફામાં બેસીને ધ્યાન કરવા માંગતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ તેમને યાદ અપાવે છે કે ભલે સ્વધર્મનું પાલન કરવામાં થોડી ખામી હોય તો પણ તેનું અનુસરણ તેમના આત્મવિકાસ માટે શ્રેયકર છે.બીજા વ્યક્તિના શ્રેષ્ઠ અને દૈવી જીવનની નકલ કરવાથી અર્જુનને કોઈ ફાયદો થશે નહીં.પોતાના સ્વભાવને અભિવ્યક્ત થતો રોકવો અને બીજા કોઈની પ્રવૃત્તિઓનું અનુકરણ કરવું ભયાવહ છે પછી ભલે તે વ્યક્તિ વધુ ઉદાત્ત અને વધુ દિવ્ય જીવન જીવતી હોય તો પણ..!
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

