અનાસક્તિ અને જીવની સેવા એ ગૃહસ્થનો ધર્મ છે.ગૃહસ્થાશ્રમી બહુ કડક ન થાય અને બહુ સરળ ન થાય.સ્ત્રીનું સન્માન કરો પણ સ્ત્રીને અતિશય આધીન ન રહો.અનાસકત રહો.બહુ મમતા માર ખવડાવે છે.
આધ જગતગુરૂ શંકરાચાર્યજી શતશ્ર્લોકીઃશ્ર્લોક-પમાં કહે છે કે દેહ,સ્રી, પૂત્ર,મિત્ર,સેવક,ઘોડા, બળદ વગેરેને ખુશ રાખવામાં એટલે કે માંસમિમાંસા પાછળ જ દરેક જણ પોતાનું આયુષ્યો ગુમાવે છે.જયારે વ્યવહાર કુશળ ચતુરજન જેનાથી પોતાને સૌભાગ્યવંત માને છે,તેના માટે જીવે છે પરંતુ પ્રાણના અધીશ સમા,અંતર્ગત અમૃતરૂ૫ આત્મતત્વની મિમાંસા કોઇ કરતું નથી.ભગવાનને ઓળખવા એ બ્રહ્મવિધા છે. આત્માનું ઉન્નૃતિકરણ કરીને ઉ૫ર લઇ જવો એ આત્મ જ્ઞાન છે.
જગતમાં સ્ત્રી અને પુરૂષ ભગવાન નિર્મિત છે તેથી સ્ત્રીને ત્યાજ્ય સમજીને તેની નિંદા કરવાની નથી.જેના પેટથી આ૫ણો જન્મ થયો,જેનું સ્તનપાન કરીને આ૫ણે મોટા થયા તેની સાથે ૫શુવત્ વર્તન કરવાનો શાસ્ત્રમાં નિષેધ કર્યો છે.સ્ત્રી તરફ ૫શુવત્ વર્તન એટલે સ્ત્રી તરફ ઇન્દ્રિય સુખની દ્રષ્ટિથી જ જોવું.૫શુને માનસિક,બૌધિક કે આત્મિક સુખની દ્રષ્ટિ્ હોતી જ નથી,તેને ફક્ત શારીરિક સુખની જ ખબર હોય છે.માણસ ૫ણ તે જ દ્રષ્ટિથી જુવે તો તે ૫શુવત્ દ્રષ્ટિ છે.સ્ત્રી પુરુષ સાથે ઉ૫ભોગ કરે તો તેમાં કોઇ ખરાબી નથી ૫રંતુ સ્ત્રીમાં પાવિત્ર્ય નિર્માણ કરો અને તેના માટે ભક્તિની જરૂર છે.ભગવાને તમામનાં શરીર બનાવ્યાં છે,ભગવાન જ તમામનાં શરીરને ચલાવે છે.આ શરીરની અંદર ભગવાન જ બેઠા છે તેથી આ શરીર ૫વિત્ર છે.
મોઢે ચઢાવેલી સ્ત્રી પ્રથમ પોતાના ૫તિને જ નિસ્તેજ કરે છે ૫છી પોતાના આધિન કરે છે અને ત્યારબાદ કઠપૂતળીની જેમ જેની સાથે લડાઇ ઝઘડો કરાવવો હોય તેની સાથે ઝઘડો કરાવે છે.
આ વિશે એક બોધકથા છે કે એક રાજા હતો.તે પશુ-પક્ષીની ભાષા જાણતા હતા.એક દિવસ રાજા-રાણી જમવા બેઠા હતા તે વખતે એક કીડીએ રાણીની થાળીમાંથી થોડું અન્ન રાજાની થાળીમાં લાવી મૂકી દીધું. બીજી કીડીએ કહ્યું કે તું અધર્મ કરે છે.સ્ત્રીનું ઉચ્છિષ્ઠ રાજાને ખવડાવે છે? તને વિવેક નથી.બંને કીડીની વાતો સાંભળી રાજા હસ્યો.રાણીએ રાજાને હસવાનું કારણ પૂછ્યું ત્યારે રાજા કહે છે કે એ વાત રહેવા દે અનર્થ થશે.રાજાને એક મહાત્માએ પશુ પક્ષીની બોલીનું જ્ઞાન આપેલું અને કહેલું કે આ વાત કોઈને કહીશ તો તારૂં મરણ થશે.રાજા આ વાત રાણીને સમજાવે છે પણ રાણીએ હઠ પકડી છે.ભલે તમારૂં મરણ થાય પણ મને તમે કેમ હસ્યા તે કહો.રાજા સ્ત્રીને અતિ આધીન હતો,તે સ્ત્રી માટે મરવા તૈયાર થયો.
રાજા કહે છે કે આપણે કાશી જઈએ અને ત્યાં હું તને એ વાત કહીશ.રાજાને એમ કે કાશીમાં મરણ થશે તો મુક્તિ મળશે.રાજા-રાણી કાશી જવા નીકળ્યા છે.રસ્તામાં મુકામ કર્યો.ત્યાં બકરો અને બકરી વાતો કરતાં હતા તે રાજાએ સાંભળી.બકરી-બકરાને કહે છે કે તમે કુવામાં જાઓ અને મારા માટે લીલું કુણું ઘાસ લઇ આવો નહિતર હું ડૂબી મરીશ.બકરો સમજાવે છે કે ઘાસ લેવા જઈશ અને જો પગ લપસી જશે તો હું મરી જઈશ.બકરી કહે છે કે તમારૂં જે થવાનું હોય તે થાય,ભલે મરણ થાય પણ મને ઘાસ લાવી આપો. બકરો કહે છે કે હું રાજા જેવો મૂર્ખ નથી કે પત્ની પાછળ મરવા તૈયાર થાઉં.રાજા આ સાંભળી વિચારે છે કે ખરેખર હું કેવો મૂર્ખ? પ્રભુભજન માટે મળેલું આ શરીર હું સ્ત્રી પાછળ ત્યાગવા તૈયાર થયો.ધિક્કાર છે મને. મારા કરતા બકરો ચતુર છે.
રાજાએ રાણીને કહી દીધું કે હું કાંઇ વાત કહેવાનો નથી.તારે જે કરવું હોય તે કર.રાણીએ જોયું કે હવે કોઈ દાળ ગળવાની નથી એટલે તેને હઠ છોડી દીધી.
ગૃહસ્થાશ્રમમાં દાન કરવાની આજ્ઞા કરી છે.ગૃહસ્થે બાર મહિનામાં એક માસ એકાંતમાં નારાયણની સાધના કરવી જોઇએ.ગંગાકિનારે કે ઘરમાં લૌકિક વાતો છોડી નારાયણનું ધ્યાન કરવું જોઈએ.ભક્તિ કરવામાં સ્થાન શુદ્ધિની બહુ જરૂર છે.
માર્કંડેય પુરાણમાં એક બોધકથા છે કે રામ-લક્ષ્મણ એક જંગલમાંથી જતાં હતા.એક જગ્યા એ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી છે.વિચારે છે કે કૈકેયીએ રામને વનવાસ આપેલો છે મને નહિ.મારે રામની સેવા કરવાની શી જરૂર છે? મનમાં રામ-સીતાજી પ્રત્યે કુભાવ આવ્યો છે.રામજીને ખબર પડી એટલે લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ ! આ જગાની માટી લઇ લે સરસ લાગે છે,એથી લક્ષ્મણે માટીનું પોટલું બાંધ્યું છે પછી લક્ષ્મણ જયારે આ માટી દૂર મૂકે ત્યારે તેમને રામ-સીતામાં ઈશ્વરના દર્શન થાય છે પણ જેવી પોટલી ઉંચકે એટલે કુભાવ આવે છે.લક્ષ્મણને આશ્ચર્ય થયું.આમ કેમ થાય છે? તેમણે રામજીને આનું કારણ પૂછ્યું. રામજીએ કહ્યું કે લક્ષ્મણ આમાં તારો દોષ નથી આ માટી તેનું કારણ છે.જે ભૂમિમાં જેવાં કામ થાય છે તેના પરમાણુઓ તે ભૂમિમાં અને તે ભૂમિના વાતાવરણમાં રહે છે.આ માટી જે જગાની છે તે જગામાં સુંદ-ઉપસુંદ નામના બે રાક્ષસો રહેતા હતા.તેઓએ તપશ્ચર્યા કરી બ્રહ્મા પાસે વરદાન માગ્યું કે અમે અમર રહીએ તેવું વરદાન આપો.
બ્રહ્માજી કહે છે કે તમારી માગણીમાં કંઈક અપવાદ રાખો.જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે.બંને ભાઈઓ વચ્ચે અતિશય ગાઢ પ્રેમ હતો તેથી તેઓએ કહ્યું કે અમે બે ભાઈઓ જયારે ઝગડીએ ત્યારે અમારૂં મરણ થાય.સુંદ-ઉપસુંદે વિચારેલું કે અમે બે ભાઈઓ વચ્ચે કદી ઝગડો થવાનો નથી એટલે અમે કોઈ દિવસ મરવાના નથી,અમે અમર બન્યા છીએ.
સુદ-ઉપસુંદ દેવોને ત્રાસ આપે છે.દેવો બ્રહ્માને શરણે ગયા.બ્રહ્માએ તિલોત્તમા નામની અપ્સરા ઉત્પન્ન કરી અને તેને કહ્યું કે તું સુંદ-ઉપસુંદ પાસે જા અને બે ભાઈઓ વચ્ચે ઝગડો કરાવ.તિલોત્તમા સુંદ-ઉપસુંદ પાસે આવી છે.તેને માટે બે ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું અને બંને મરણ પામ્યા,તેથી જ આ માટી પર વેરના સંસ્કાર ઉતરી આવ્યા છે.
આત્મા-અનાત્માનો વિવેક એ સર્વનો ધર્મ છે.વેદોની વાણી ગૂઢ હોય છે.કોઈ અધિકારી પાસેથી તેનો સાચો અર્થ સમજવો જોઈએ.
અન્ય એક બોધકથા છે કે એક શેઠે પોતાના ચોપડામાં લખી રાખેલું કે ગંગા-યમુનાની મધ્યમાં લાખ રૂપિયા રાખ્યા છે.છોકરાઓને એકવાર પૈસાની તાણ પડી.ચોપડામાં પિતાજીના હાથનું લખાણ વાંચે છે પણ કંઈ સમજણ પડતી નથી,ત્યાં જુના મુનીમ ફરતા ફરતા આવ્યા,તેમને પૂછ્યું કે આ ચોપડામાં પિતાજીએ લખ્યું છે તેનો અર્થ શો? મુનીમે કહ્યું કે તમારાં ઘરમાં ગંગા-યમુના નામની બે ગાયો છે તે જે જગ્યાએ બાંધવામાં આવે છે તેની વચ્ચે આ રૂપિયા છે.હવે આ બોધકથાનો આધ્યાત્મિક અર્થ એવો થાય કે ગંગા-યમુના એ ઈડા-પિંગલા બે નાડીઓ છે.તેની મધ્યમાં સુષુમણા નાડી છે,તે છુપાયેલું ધન છે,આ નાડી જાગ્રત ન થાય ત્યાં સુધી બ્રહ્મના દર્શન થતાં નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

