Ahmedabad,તા.૨૯
અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.ભકતો પોત પોતાના ગુરૂના આર્શિવાદ લેવા માટે પહોંચ્યા હતાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. ભક્તોએ મહંત દિલીપદાસજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં વિશેષ પૂજન, ગુરુવંદના અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો, મહંતો અને હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
જગન્નાથ મંદિરની ગુરુ પરંપરા અનુસાર દર વર્ષે ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગાદીના ગુરુજનોનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ “જય જગન્નાથ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમા માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ છે. તેમણે જણાવ્યું કે જગન્નાથ મંદિરમાં પ્રતિવર્ષ ગુરુ પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવે છે અને અનેક ભક્તો દૂર-દૂરથી ગાદીના ગુરુજનોના આશીર્વાદ લેવા માટે આવે છે.
ગુરુપૂર્ણિમાના આ પાવન અવસરે મહંત દિલીપદાસજી મહારાજે તમામ ભક્તજનોને ગાદીના ગુરુજનોના આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા આધ્યાત્મિક પ્રગતિ માટે મંગળકામનાઓ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ ગુરુવંદના કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. રાજકોટ શહેર પણ ગુરુભક્તિના રંગે રંગાયું છે. શહેરના કુવાડવા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ રણછોડદાસ આશ્રમ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ગુરુદેવના દર્શન અને પૂજન માટે ઉમટી પડ્યા હતા. ગુરુપૂર્ણિમાના દિવસે અહીં રક્ષાપોથી (રાખડી) બંધાવવાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે.આશ્રમમાં આવેલા ભક્તોએ જણાવ્યું કે તેમના જીવનમાં ગુરુનું વિશેષ સ્થાન છે. ગુરુપૂર્ણિમાના દિવસે સૌપ્રથમ ગુરુદેવના દર્શન અને આશીર્વાદ મેળવી તેઓ પોતાના દિવસની શરૂઆત કરે છે. તેમના મતે ગુરુના આશીર્વાદથી જીવનમાં સકારાત્મક ઊર્જા અને માર્ગદર્શન મળે છે.
ગુરુપૂર્ણિમાના પાવન પર્વની આજે જૂનાગઢમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભવનાથના ગિરિ તળેટી વિસ્તારમાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમ, અવધૂત આશ્રમ, ભારતી આશ્રમ સહિત તમામ આશ્રમોમાં વહેલી સવારથી જ ભકતો ગુરૂના દર્શન કરવા અને આર્શિવાદ લેવા માટે પહોંચ્યા હતાં શિષ્યો અને સેવકોએ ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી
યાત્રાધામ ડાકોર તેમજ નડીયાદ ખાતે ગુરૂપુર્ણિમાની ભક્તિભાવપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ડાકોરના રણછોડરાયજી મંદિર તેમજ નડીયાદના સંતરામ મંદિર ખાતે વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. ગુરૂપુર્ણિમાના પર્વને લઈને જીલ્લાભરમાં ભાવિકો ગુરૂ વંદના અને ગુરૂપાદુકા પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
યાત્રાધામ ડાકોર ખાતે આજે ગુરૂપુર્ણિમાને લઈ રણછોડરાયજીના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.સમગ્ર મંદિર પરિસર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ગુરૂપુર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.મંગળા આરતીનો પણ મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
નડિયાદ સંતરામ મંદિર ખાતે ગુરૂપુર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સંતરામ મંદિર ખાતે ઉમટ્યા હતા. સંતરામ મહારાજના સમાધિ સ્થાન અને દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી તેમજ રામદાસજી મહારાજને વંદન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. આ સાથે મંદિર ખાતે ગુરુપાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે પોતાના ગુરૂ પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરવા ભાવિકો કંઠી ધારણ કરે છે. ત્યારે મંદિરમાં ગુરૂ કંઠી માટે લાંબી કતારો જોવા મળી હતી.
મહુધાના સુપ્રસિદ્ધ ચુણેલા હનુમાનજી અને શંકરરામજી આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભાવિકોએ મહારાજનું પૂજન કરી સન્માન કરી ગુરૂ પ્રત્યે આદર ભાવ વ્યક્ત કર્યો હતો. મહુધા તાલુકાના ચુણેલા હનુમાનજી અને શંકરરામજી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

