ભાભરમાં છાતીસમા પાણી, કડીમાં ૭ ઈંચથી વધુ વરસાદ
Gandhinagar, તા.૨૪
ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ પૂરજોશમાં શરુ થયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળ્યા બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પોતાની તોફાની ઈનિંગ શરૂ કરી દીધી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે વહીવટી તંત્રે ૧૯ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે.
ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા બે કલાકમાં વાવ-થરાદના દિયોદર તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ભાભર, ધનસુરા (અરવલ્લી), લીલિયા (અમરેલી) અને સાંતલપુર (પાટણ) તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે ૩૮,૬૫૩ થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે. ૫,૫૪૭ થી વધુ ફસાયેલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું. નવસારી, વલસાડ અને તાપીમાં કોસ્ટ ગાર્ડ દ્વારા એરિયલ સર્વે તેમજ બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકો માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ. દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લ ની ટીમો રાજ્યભરમાં કુલ ૪૯ ટીમો કટોકટી માટે તૈનાત. ઇન્ડિયન આર્મીની અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે સેનાની ૦૬ ટીમો (પ્રત્યેક સ્થળે ૨-૨ ટીમો) ડિપ્લોય.
ઉત્તર ગુજરાતના વાવ અને થરાદ પંથકમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દિયોદરમાં માત્ર ૪ કલાકમાં જ ૬ ઈંચથી વધુ વરસાદ ખાબકતા ચારેય તરફ પાણી ફરી વળ્યા. ભાભરમાં ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. રાત્રે પડેલા મુસળધાર વરસાદને કારણે લાઠી બજાર જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યાં છાતી સુધી પાણી ભરાઈ જતાં ઘરો અને દુકાનોમાં રહેલા સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. રાધનપુર અને સાંતલપુર બંને વિસ્તારોમાં ૩-૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ભાભર-દિયોદર હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને માઠો ફટકો પડ્યો છે અને સુરક્ષાના ભાગરૂપે એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.
મહેસાણાના કડી તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ ઈંચથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે. નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. કડીથી થોળ જવાના માર્ગ પર આવેલ રેલવે અંડરપાસમાં વર્ષો જૂની સમસ્યા મુજબ ફરી એકવાર ભરાયેલાં પાણીના કારણે વાહનચાલકો અને સ્થાનિકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અમરેલી શહેર અને લીલીયા તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાતા સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ભારે વરસાદની આગાહી અને ભરાયેલા પાણીની સ્થિતિને જોતા રાજ્યના ૧૯ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ૨૭ જુલાઈ સુધી આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોને બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સરેરાશ ૯૦.૧૨ મિમી (આશરે ૩.૫ ઈંચ) વરસાદ નોંધાયો છે, જેના કારણે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૫.૮૪ ટકા (૪૧૬.૬૫ મિમી) સુધી પહોંચી ગયો છે.
દક્ષિણ ગુજરાતમાં ૭૩.૬૭ ટકા સરેરાશ વરસાદ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે. મુખ્ય જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની કુલ ક્ષમતાના ૬૮.૩૩ ટકા (૨,૨૮,૨૬૫ એમસીએફટી) ભરાઈ ચૂક્યો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના ૪૩.૩૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.
વધતા પાણીના વહેણને કારણે રાજ્યના ૧૫ ડેમ હાઈ એલર્ટ, ૫ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

