રેગ્યુલર કોફી પીવાથી આંતરડાના માઇક્રોબાયોમ, શરીરની કાર્યપ્રણાલી અને માનસિક ક્ષમતાઓમાં ફેરફાર થઈ શકે છે. આ ખુલાસો મેડિકલ જર્નલ ‘નેચર કોમ્યુનિકેશન્સ’ માં પ્રકાશિત નવા અભ્યાસમાં થયો છે.
સંશોધકોએ તેમના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, કોફીની અસર માત્ર કેફીન સુધી સીમિત નથી, પરંતુ તે આંતરડા અને મગજ વચ્ચેનાં ‘માઇક્રોબાયોટા-ગટ-બ્રેન એક્સિસ’ ને પણ પ્રભાવિત કરે છે. આ પ્રણાલી શરીર અને મગજ વચ્ચે કમ્યુનિકેશનનું કામ કરે છે.
અભ્યાસ મુજબ, નિયમિત કોફી પીનારાઓના આંતરડામાં ‘ક્રિપ્ટોબેક્ટેરિયમ’ અને ‘એગરથેલા’ જેવા કેટલાક ખાસ બેક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આ સાથે કેટલાક મહત્વપૂર્ણ મેટાબોલાઇટ્સ અને ન્યુરોટ્રાન્સમીટર, ખાસ કરીને ગામા-એમિનોબ્યુટીરિક એસિડના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
એટલું જ નહીં, આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, કોફી પીનારા લોકોમાં આવેગશીલતા અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ વધુ જોવા મળી હતી, જ્યારે કોફી ન પીનારાઓની મેમરી વધુ સારી હોવાનું જાણવા મળ્યું હતું.
સંશોધનમાં એવું પણ સામે આવ્યું છે કે, કોફીનું સેવન બંધ કરવા પર આંતરડાના માઇક્રોબાયોમમાં થયેલા કેટલાક ફેરફારો ફરી સામાન્ય થઈ શકે છે. જોકે, ફરીથી કોફી શરૂ કરવા પર આ ફેરફારો ફરીથી ઝડપથી ઉભરી આવે છે અને આ પ્રભાવ માત્ર કેફીનને કારણે નથી હોતો.
આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ નવ મુખ્ય મેટાબોલાઇટ્સની ઓળખ કરી છે, જેમાં કેફીન, થિયોફિલીન અને કેટલાક ફિનોલિક એસિડનો સમાવેશ થાય છે. આ તત્વો આંતરડાના બેક્ટેરિયા અને મગજના કાર્યો વચ્ચેના સંબંધને મજબૂત બનાવે છે.
અભ્યાસ મુજબ કોફીની અસર જટિલ અને વ્યક્તિગત હોઈ શકે છે. તેમાં કેટલાક સંભવિત ફાયદા છે, પરંતુ કેટલીક એવી અસરો પણ સામે આવી છે જે વર્તન અને માનસિક ક્ષમતા પર નકારાત્મક અસર કરી શકે છે.
નિષ્ણાતોના મતે, સંતુલિત માત્રામાં સેવન અને વ્યક્તિગત સહનશક્તિને ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે આ વિષય પર હજુ વધુ સંશોધનની જરૂર છે.

