(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.31
સમય બદલાય છે, સંજોગો બદલાય છે, સરનામા બદલાય છે… પરંતુ બાળપણમાં બંધાયેલા સ્નેહના સંબંધો ક્યારેય બદલાતા નથી. વર્ષો પહેલાં એકજ ગામમાં સાથે ઉછરેલી, સાથે રમેલી, સાથે ભણેલી અને લગ્ન બાદ જીવનની નવી સફરમાં અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં સ્થાયી થયેલી પ્રેમપરા (ધારી) ગામની દીકરીઓ અનેક દાયકાઓ પછી, ફરી એકવાર એક જ મંચ ઉપર ભેગી થઈ હતી, ત્યારે લાગણીઓનો એવો પ્રવાહ સર્જાયો કે અનેક બહેનોની આંખોમાં ખુશીના આંસુઓ આવી ગયા.
“યાદોના આંગણે સખી સંગમ મહોત્સવ” – પ્રેમપરા (ધારી) ગામની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સમારોહ મોટા વરાછા, સુરત ખાતે અત્યંત ભવ્ય, સુવ્યવસ્થિત અને યાદગાર રીતે યોજાયો હતો.
સૌથી વિશેષ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે વર્ષો પછી એકબીજાને અચાનક સામે જોઈ બહેનો દોડી જઈને એકબીજાને ભેટી પડી. કોઈની આંખોમાં ખુશીના આંસુ હતા, તો કોઈ બાળપણની સખીને ઓળખીને ભાવવિભોર થઈ ગઈ. વર્ષોનું અંતર પળવારમાં ઓગળી ગયું. તેમજ બાળપણની યાદોને તાજી કરતી અનેક પરંપરાગત રમતો સાથે રાસ-ગરબા લીધા હતાં. આ પ્રથમ સ્નેહમિલનને સફળતાના શિખરે પહોંચાડવામાં આયોજક ટીમના અસ્મિતાબેન ધીરુભાઈ અકબરી, આરતીબેન જગદીશભાઈ વાડદોરીયા, નિરલબેન જયંતીભાઈ રંગાણી, ક્રિષ્નાબેન પ્રફુલભાઈ વાડદોરીયા, ગીતાબેન ચતુરભાઈ વાડદોરીયા, રંજનબેન નનુભાઈ બાબરીયા, હંસાબેન છગનભાઈ બાબરીયા, સુનીતાબેન બાબુભાઈ બાબરીયા, મનીષાબેન મજેઠીયા, મેનાબેન પરસોતમભાઈ હિરાણી, હિરલબેન ઘનશ્યામભાઈ પટોળીયા નો વિશેષ અને અવિસ્મરણીય ફાળો રહ્યો હતો.

