વિનોદભાઇ માછી નિરંકારી
તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કરીને હવે ભગવાન આગળના ત્રણ શ્ર્લોકો (૪/૩૫-૩૭)માં તત્વજ્ઞાનનું વાસ્તવિક માહાત્મય બતાવે છે. હવે ગીતા શ્ર્લોક(૪/૩૭)માં ઉદાહરણ આપીને સમજાવે છે કે..
યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિર્ભસ્મસાત્કુરૂતેઽર્જુન
જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્કુરૂતે તથા
(અર્જુન-હે અર્જુન ! યથા-જે રીતે, સમિદ્ધઃ-ભડભડતો, અગ્નિઃ-અગ્નિ, એધાંસિ-ઇંધણોને, ભસ્મસાત્-સર્વથા ભસ્મ, કુરૂતે-કરી નાખે છે, તથા-તેવી જ રીતે, જ્ઞાનાગ્નિઃ-જ્ઞાનરૂપી અગ્નિ, સર્વકર્માણિ-સમગ્ર કર્મોને, ભસ્મસાત્-સર્વથા ભસ્મ, કુરૂતે-કરી નાખે છે.)
હે અર્જુન ! જે રીતે ભડભડતો અગ્નિ ઇંધણોને સર્વથા ભસ્મ કરી નાખે છે તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સર્વથા ભસ્મ કરી નાખે છે.(ગીતાઃ૪/૩૭)
કર્મના સિદ્ધાંતનો અહી અપવાદ બતાવે છે. બધાં કર્મો ભોગવવાં જ પડે,છુટકો જ નહી-આ કર્મનો સિદ્ધાંત છે પરંતુ તેમાં આટલો અપવાદ છે કે જો કર્તા જીવાત્માને જ્ઞાન થઇ જાય તો પેલાં કર્મો સ્વયં પોતે જ જ્ઞાનાગ્નિમાં બળીને ખાખ થઇ જાય પછી કશું ભોગવવાનું ના રહે. કર્મભોગની શૂન્યતા બે રીતે થઇ શકેઃ ભોગવીને કર્મોને ખપાવીને અને કર્મોને બાળીને.. ગીતા બંન્ને પ્રક્રિયાને માને છે. જ્ઞાન ના થાય તો કર્મો ભોગવવાનાં, જો જ્ઞાન થાય તો જ્ઞાન જ કર્મોને બાળી નાખે છે પછી ભોગવવાનાં રહેતાં નથી. ખરેખર તો જ્ઞાનની વ્યાખ્યા જ એવી થાય છે કે જે કર્મોને બાળે તે જ્ઞાન.
બીજો એક પક્ષ ક્ષમાપક્ષ છે. ઇશ્વર ક્ષમા કરનારા છે. તે પોતાના ભક્તોનાં કર્મોને ક્ષમા કરી દે છે જેથી હવે પછી તેને કર્મભોગ રહેતો નથી. જો રાજા ક્ષમા કરી શકે તો રાજાનોય રાજા પરમેશ્વર કેમ ક્ષમા ન કરી શકે? આ ક્ષમાપક્ષ છે.
‘યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિર્ભસ્મસાત્કુરૂતેઽર્જુન’ શ્ર્લોક ૪/૩૬માં ભગવાને જ્ઞાનરૂપી નૌકા દ્વારા તમામ પાપ -સમુદ્રને તરવાની વાત કહી છે એનાથી એ પ્રશ્ન પેદા થાય કે પાપ-સમુદ્ર તો શેષ રહે જ છે પછી તેનું શું થશે? આથી ભગવાન ફરીથી બીજું દ્રષ્ટાંત આપતા રહીને કહે છે કે જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ કાષ્ટ વગેરે તમામ ઇંઘણોને એવી રીતે ભસ્મ કરી દે છે કે તેમનો સહેજપણ અંશ શેષ રહેતો નથી એવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ તમામ પાપોને એવી રીતે ભસ્મ કરી દે છે કે તેમનો સહેજપણ અંશ શેષ રહેતો નથી.
બધાં જ પાપ ખલાસ થઇ જાય. ગીતાકાર જે પાપના દરીયાની વાત કરે છે તે દ્વેતાભાસ-દ્વેતનો આભાસરૂપી પાપ છે. હું મારી શક્તિથી ઉભો રહું છું, તારાથી જુદો રહું છું અને કામ કરૂં છું-આ કલ્પના જ પાપ કહેવાય છે. જ્ઞાની સબંધથી દ્વેતભાવ ચાલ્યો જાય અને આત્મસાક્ષાત્કાર થાય છે. ભગવાન કહે છે કે જે જ્ઞાન હું તને કહું છું તે જીવનનું જ્ઞાન છે તે મેળવવા માટે તારી પાસે એક શસ્ત્ર હોવું જોઇએ અને તે શસ્ત્ર છે-શ્રદ્ધા. ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય તો જ્ઞાન મળે છે. આત્મશ્રદ્ધા-ઇશશ્રદ્ધા અને ગુરૂશ્રદ્ધા. આ ત્રણ શ્રદ્ધા જેટલી વધારે તેટલું જ્ઞાન મળતું જાય છે.
સમિધના લાકડા તેની જાત, આકાર, સ્થિતિ, રંગ વગેરે ગમે તેવા હોય જ્યારે તેમને હવનકુંડમાં નાખવામાં આવે છે અને અગ્નિ તેમને હજમ કરી જાય છે ત્યારે ઉત્પન્ન થતી રાખ તો એક સરખી જ હોય છે. વેદીમાં જે રાખનો ઢગલો રહે છે તેમાં આપણે આ રાખ અમુક કાષ્ઠની છે અને આ બીજા કાષ્ઠની છે એ ભેદ પારખી કરતા નથી. આ શ્ર્લોકમાં કહે છે કે એવી જ રીતે જ્ઞાનના અગ્નિમાં સારાં-નરસાં કે ગમે તે કોટિના કર્મો ભસ્મીભૂત થઇ જાય છે. જાડાઇ-વજન-ગંધ વગેરે ધરાવતાં ઘન લાકડાં અંતે જ્યારે ભસ્મ બની જાય છે ત્યારે લગભગ વજનહીન બની જાય છે અને આછો ભૂખરો સિવાય તેમને બીજો કશો રંગ હોતો નથી.
‘જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્કુરૂતે તથા’ જેવી રીતે અગ્નિ કાષ્ઠને ભસ્મ કરી દે છે તેવી જ રીતે તત્વજ્ઞાનરૂપી અગ્નિ સંચિત-પ્રારબ્ધ અને ક્રિયામાન-ત્રણે કર્મોને ભસ્મીભૂત કરી દે છે. સમગ્ર કર્મ ત્રણ વર્ગમાં વહેચવામાં આવ્યાં છેઃ હજુ સક્રિય બન્યા ના હોય તે-સંચિત કર્મ, સક્રિય-પ્રારબ્ધ અને હજી હવે સક્રિય થવાનાં હોય તે આગામી કર્મ. ગીતામાં સર્વે કર્મો ભસ્મીભૂત થવાનું જે કહેવામાં આવ્યું છે એવાં સમગ્ર સંચિત અને આગામી કર્મોનો સમાવેશ થાય છે, પ્રારબ્ધ કર્મો ભોગવવાથી જ નષ્ટ થાય છે.
જેવી રીતે અગ્નિમાં કાષ્ઠનો અત્યંત અભાવ થઇ જાય છે તેવી રીતે તત્વજ્ઞાનમાં સઘળા કર્મોનો અત્યંત અભાવ થઇ જાય છે. જ્ઞાન થતાં કર્મો સાથે અથવા સંસાર સાથે સર્વદા સબંધ-વિચ્છેદ થઇ જાય છે. સબંધ-વિચ્છેદ થતાં સંસારની સ્વતંત્ર સત્તાનો અનુભવ થતો નથી પરંતુ એક પરમાત્મતત્વ જ શેષ રહી જાય છે.
વાસ્તવમાં તમામ ક્રિયાઓ પ્રકૃતિના દ્વારા જ થાય છે (૧૩/૨૯) તે ક્રિયાઓ સાથે પોતાનો સબંધ માની લેવાથી કર્મો થાય છે. નાડીઓમાં લોહી વહેવું, શરીરનું બાળકથી યુવાન થવું, શ્વાસોનું આવવું-જવું, ભોજનનું પચવું વગેરે ક્રિયાઓ જે સમષ્ટિ પ્રકૃતિથી થાય છે તે જ પ્રકૃતિથી ખાવું-પીવું, ચાલવું-જોવું, બોલવું વગેરે ક્રિયાઓ થાય છે પરંતુ અજ્ઞાનવશ તે ક્રિયાઓ સાથે પોતાનો સબંધ માની લે છે, પોતાને તે ક્રિયાઓનો કર્તા માની લે છે, એનાથી તે ક્રિયાઓ ‘કર્મ’ બનીને મનુષ્યને બાંધે છે. આ રીતે માનેલા સબંધથી જ કર્મો થાય છે, અન્યથા ક્રિયાઓ જ થાય છે.
તત્વજ્ઞાન થતાં અનેક જન્મોનાં સંચિત કર્મો અજ્ઞાનને આશ્રયે રહે છે આથી જ્ઞાન થતાં જ આશ્રય, આધારરૂપી અજ્ઞાન ના રહેવાથી તેઓ નષ્ટ થઇ જાય છે, ફળજનક રહેતાં નથી. પ્રારબ્ધ કર્મોની ઘટનાનો અંશ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ તો જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી રહે છે પરંતુ જ્ઞાની ઉપર તેની અસર પડતી નથી કારણ કે તત્વજ્ઞાન થતાં ભોકતૃત્વ રહેતું નથી, આથી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવતાં તે સુખી-દુઃખી થતો નથી. આ રીતે તત્વજ્ઞાન થતાં સંચિત-પ્રારબ્ધ અને ક્રિયામાન-ત્રણે કર્મો સાથે સહેજપણ સબંધ રહેતો નથી. કર્મો સાથે પોતાનો સબંધ ન રહેવાથી કર્મો રહેતાં નથી, ભસ્મ થઇ જાય છે, તમામ કર્મ અકર્મ થઇ જાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

