આલેખનઃવિનોદ માછી નિરંકારી
સનાતન વૈદિક ધર્મમાં ભાદરવા સુદ પંચમી તિથિ અત્યંત પવિત્ર,મંગલકારી અને શ્રદ્ધાસ્પદ માનવામાં આવે છે.આ દિવસને વિશ્વભરમાં ’Rishi Panchami’ અને લોકબોલીમાં ’સામા પાંચમ’ તરીકે ઓળખવામાં આવે છે.ગણેશ ચતુર્થીના બીજા દિવસે આવતો આ પાવન ઉત્સવ ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક શુદ્ધિ,આત્મસંયમ,ગુરૂઋણ,પ્રકૃતિ સાથેના અદભૂત તાલમેલ અને ઋષિમુનિઓ પ્રત્યેની કૃતજ્ઞતાનું અમર પ્રતીક છે.આ દિવસે વૈદિક જ્ઞાન-વિજ્ઞાન અને સંસ્કૃતિના સંવાહક એવા સાત મહાન ઋષિઓ-સપ્તર્ષિઓ અને પવિત્રતાની સાક્ષાત્? મૂર્તિ માતા અરૂંધતીનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવે છે.
ધર્મશાસ્ત્રોમાં ઋષિ પંચમીના વ્રતને કાયિક-વાચિક અને માનસિક પાપોમાંથી મુક્તિ આપનારૂં માનવામાં આવ્યું છે.મનુષ્ય જીવનમાં આચરવામાં આવેલી અજાણતાં ભૂલો,અશૌચ અને શારીરિક કે માનસિક અશુદ્ધિઓનું શુદ્ધિકરણ કરવા માટે આ વ્રત વિશેષ પ્રભાવશાળી ગણાય છે.
શાસ્ત્રો અનુસાર પ્રત્યેક મનુષ્ય પર જન્મસિદ્ધ ત્રણ પ્રકારના ઋણ રહેલા હોય છે.દેવઋણયજ્ઞ-પૂજન દ્વારા ચૂકવાય છે, પિતૃઋણ સંતાનોત્પત્તિ અને પિતૃસેવા દ્વારા ચુકવાય છે, ઋષિઋણ સ્વાધ્યાય, જ્ઞાનસંવર્ધન અને સંસ્કારોના જતન દ્વારા ચૂકવાય છે.
ઋષિઓએ આપણને વૈદિક જ્ઞાન,સંસ્કૃતિ,દર્શન,ઉપનિષદ અને શ્રેષ્ઠ સદાચારનો માર્ગ બતાવ્યો છે. ઋષિ પંચમીના દિવસે સપ્તર્ષિઓનું પૂજન કરીને માનવજાત તેમના ચરણોમાં કૃતજ્ઞતા અર્પણ કરે છે.
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ સ્ત્રીઓના માસિક ધર્મ-રજસ્વલા અવસ્થા દરમિયાન શારીરિક વિશ્રામ અને શુચિતાના અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે.ભૂતકાળમાં કે અજાણતાં જો આ નિયમોનું ઉલ્લંઘન થયું હોય અને અશૌચ સ્થિતિમાં ઘરમાં સ્પર્શ કે રસોઈ થઈ ગઈ હોય તો તેનાથી ઉત્પન્ન થતા ’રજસ્વલા દોષ’માંથી મુક્તિ મેળવવા માટે સ્ત્રીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે.જોકે માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરૂષો પણ પોતાના કાયિક-માનસિક પાપોના પ્રાયશ્ચિત અને આત્મશુદ્ધિ માટે આ વ્રત કરી શકે છે.
ઋષિ પંચમીના દિવસે જે આદરણીય સાત ઋષિઓની પૂજા થાય છે તેમનું સ્વરૂપ જોઇએ તો.. કશ્યપ ઋષિ સમસ્ત સૃષ્ટિના પિતામહ તુલ્ય અને તપસ્યાના શિખર, અત્રિ ઋષિતપસ્યાના મૂર્તિમંત સ્વરૂપ અને ભગવાન દત્તાત્રેયના પિતા હતા, ભરદ્વાજ ઋષિજ્ઞાન-વિજ્ઞાન અને આયુર્વેદના મહાન પ્રણેતા છે, વિશ્વમિત્ર ઋષિગાયત્રી મંત્રના દ્રષ્ટા અને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનનાર વિરાટ વ્યક્તિત્વ, ગૌતમ ઋષિ ન્યાયશાસ્ત્રના પ્રણેતા અને પવિત્ર ગોદાવરી નદીને પૃથ્વી પર લાવનાર, જમદગ્નિ ઋષિભગવાન પરશુરામના પિતા અને સત્યના પરમ પૂજારી હતા, વસિષ્ઠ ઋષિ ભગવાન શ્રીરામના કુળગુરૂ અને શાંતિ તથા તેજના પ્રતીક છે.
આ સાતેય ઋષિઓ સાથે મહાન પતિવ્રતા,સમર્પણ અને શુચિતાનું પ્રતીક એવા વસિષ્ઠ પત્ની માતા અરૂંધતીનું પણ પૂજન થાય છે.આ પર્વ માત્ર એક વ્રત કે વિધિ-વિધાન નથી પરંતુ આપણી આખી ઋષિ સંસ્કૃતિ પ્રત્યે નતમસ્તક થવાનું દિવ્ય પર્વ છે.’ઋષિ’ એટલે જંગલમાં ઝૂંપડી બાંધીને બેસી રહેનાર કે કેવળ જપ-તપ કરનાર નિષ્ક્રિય સાધુ નહીં. ’ઋષતિ જાનાતિ ઇતિ ઋષિઃ’ જે સત્યને જુએ છે,બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે અને સમાજને સુખી-સંસ્કૃત તથા નૈતિક બનાવવાનો અવિરત વિચાર કરે છે તે ઋષિ છે.ઋષિઓ માનવજાતના સાચા માર્ગદર્શક,વિચારક અને સમાજના ઇજનેરો હતા,તેમણે આપણી પાસે કશું માગ્યા વગર આપણને વેદ,ઉપનિષદ,સંસ્કાર અને જીવન જીવવાની દિવ્ય કળા આપી છે.
કાગળ પર સાત બિંદુ કરીને ચંદન-અક્ષત ચડાવી દેવાથી કે માત્ર પૂજાપાઠ કરી લેવાથી ઋષિપૂજન પૂરૂં થતું નથી.ઋષિઓએ જે ઉદાત્ત વિચારો આપ્યા તે વિચારોનું મનન કરવું, તેને જીવનમાં ઉતારવા અને સમાજના અંતિમ માનવી સુધી પહોંચાડવા,વિચાર વિસ્તાર કરવો એ જ સાચું ઋષિપૂજન છે.ઋષિઋણ ચૂકવવાનો શ્રેષ્ઠ માર્ગ જ્ઞાનનો પ્રસાર કરવો અને માનવમાં રહેલા દૈવી અંશને જગાડવો છે.
ઋષિ પંચમીના દિવસે ખેડેલી જમીનનું અન્ન ન ખાવાની પરંપરા છે.ઋષિઓએ માનવને કુદરત સાથે અહંકારમુક્ત બનીને જીવતા શીખવ્યું હતું.ઋષિઓ સ્વેચ્છાએ અને સંતોષથી જીવતા,તેઓ નિસર્ગનો નાશ કે શોષણ ન કરતા.કુદરતી રીતે ઉગેલા ધાન્યનો આહાર એ નિઃસ્પૃહતા,ત્યાગ અને સંયમનું પ્રતીક છે. તે મનુષ્યને સંદેશ આપે છે કે જીવનમાં જરૂરિયાતો મર્યાદિત રાખો અને પ્રકૃતિની મર્યાદાઓનો અનાદર ન કરો.
ઋષિ પંચમી સ્ત્રીઓને હીન બતાવવાનું પર્વ નથી પરંતુ નારી શક્તિના આદર અને તેની કાયિક-માનસિક પવિત્રતાનો ઉત્સવ છે.માસિક ધર્મ એ કુદરતી જૈવિક પ્રક્રિયા છે પરંતુ તેની સાથે જોડાયેલી શુચિતા અને શારીરિક વિશ્રામનું વિજ્ઞાન ઋષિઓએ સમજાવ્યું હતું.નારી સુદ્રઢ બને,પવિત્ર રહે અને તેના સંસ્કારોથી કુટુંબ ઉન્નત બને એ જ ઋષિ સંસ્કૃતિની મૂળ ભાવના છે.
ગુજરાતમાં આ પર્વ ’સામા પાંચમ’ તરીકે વિશેષ લોકપ્રિય છે.આ નામકરણ પાછળ એક ચોક્કસ આહાર વિજ્ઞાન અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદના જોડાયેલી છે.આ દિવસે બળદ કે હળ દ્વારા ખેડીને ઉગાડવામાં આવેલા ધાન્ય જેવા કે ઘઉં,ચોખા,બાજરી કે તુવેરનો ત્યાગ કરવામાં આવે છે,તેના બદલે કુદરતી રીતે આપોઆપ ઉગતા ધાન્ય જેમ કે ’સામો’ (મોરૈયો), રાજગરો અને જંગલ કે વાડીમાં ખેડ્યા વગર ઉગતી ભાજી તાંદળજો,સુવા,ધાણા વગેરેનો આહાર તરીકે ઉપયોગ થાય છે.
વર્ષમાં એક દિવસ ખેતરની જમીનને ખેડ્યા વગર આરામ આપવો અને ખેતીકામમાં રાત-દિવસ શ્રમ કરતા બળદોને મુક્તિ આપવી-આ પરંપરા ભારતીય સંસ્કૃતિની અહિંસા, પ્રાણીદયા અને પ્રકૃતિ-સંરક્ષણની ભાવના છતી કરે છે. સામો પાચનમાં અત્યંત હલકો,પોષક અને સુપાચ્ય હોવાથી ઉપવાસ દરમિયાન જઠરાગ્નિને શાંત રાખે છે અને શરીરનું ડિટોક્સિફિકેશન-આંતરિક શુદ્ધિ કરે છે.
ભવિષ્ય પુરાણમાં ઋષિ પંચમીના માહાત્મ્ય વિશે એક અત્યંત પ્રેરણાદાયી પૌરાણિક કથા પ્રાપ્ત થાય છે.પ્રાચીન કાળમાં વિદર્ભ દેશમાં સુમિત્ર નામના એક સદાચારી બ્રાહ્મણ પોતાની પત્ની જયંતી સાથે રહેતા હતા,તેઓ સત્કર્મ,ખેતી અને પ્રભુભક્તિથી સાદગીપૂર્ણ જીવન વિતાવતા હતા,તેમને એક પતિવ્રતા અને ગુણવાન પુત્રી હતી.યોગ્ય વયે પુત્રીના લગ્ન થયા પરંતુ ભાગ્યવશાત તે નાની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ.દુઃખી પુત્રી પિતાના ઘરે પાછી આવી અને માતા-પિતાની નિષ્કામ સેવા કરવા લાગી.
એક રાત્રે સૂતી વખતે માતા જયંતીએ જોયું કે દીકરીના શરીર પર નાના-નાના કીડા પડી રહ્યા હતા.આ દ્રશ્ય જોઈ માતા-પિતા અત્યંત વ્યથિત થયા.બ્રાહ્મણ સુમિત્રે પોતાના તપોબળથી ધ્યાનમાં બેસીને આનું દૈવી કારણ જાણવાનો પ્રયાસ કર્યો.ધ્યાનમાં તેમને જણાયું કે તેમની પુત્રીએ પૂર્વજન્મમાં એક ગંભીર ભૂલ કરી હતી,તે પૂર્વજન્મમાં પણ બ્રાહ્મણ કન્યા હતી.એકવાર પોતાના માસિક ધર્મ-રજસ્વલા અવસ્થા દરમિયાન તેણે અજાણતાં ઘરમાં વાસણો અને રસોઈની સામગ્રીને સ્પર્શ કરી લીધો હતો અને શાસ્ત્રોક્ત અશૌચના નિયમોનું પાલન કર્યું ન હતું.વધુમાં તેણે તે દોષના નિવારણ માટે ક્યારેય ઋષિ પંચમીનું વ્રત કર્યું ન હતું.આ અજ્ઞાનતા અને અશૌચના પરિણામ સ્વરૂપ તેને આ જન્મમાં કષ્ટ ભોગવવું પડી રહ્યું હતું.
પુત્રીને આ પીડામાંથી મુક્ત કરવા માટે પિતા સુમિત્રે તેને ભાદરવા સુદ પાંચમના દિવસે ઋષિ પંચમીનું વ્રત કરવાની વિધિ બતાવી.પિતાના આદેશાનુસાર કન્યાએ શ્રદ્ધા અને નિયમપૂર્વક સપ્તર્ષિઓનું પૂજન કરી વ્રત કર્યું.આ વ્રતના પ્રભાવથી અને સપ્તર્ષિઓના દિવ્ય આશીર્વાદથી તેના તમામ દોષો નષ્ટ થયા અને તે સંપૂર્ણપણે રોગમુક્ત તથા પવિત્ર થઈ ગઈ.
શાસ્ત્રોમાં ઋષિ પંચમીના વ્રત માટે ચોક્કસ અને શુદ્ધ વિધિ દર્શાવવામાં આવી છે.પ્રાતઃ સ્નાન અને અપામર્ગ-અઘાડો..આ દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઊઠીને ’અપામર્ગ’ જેને ગુજરાતીમાં અઘાડો કે ધામરગવો કહે છે,નામના ઔષધીય છોડની ડાળખીથી ૧૦૮ કે ૧૨ વખત દાંત સાફ કરવાની પરંપરા છે, ત્યારબાદ અઘાડાના પાંદડા મસ્તક પર મૂકીને પવિત્ર જળથી સ્નાન કરવામાં આવે છે.આ વિધિથી શરીરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
સપ્તર્ષિ સ્થાપનાપૂજા સ્થળ પર ચોખા કે ધાન્યની પાટલી પર અષ્ટદળ કમળ બનાવીને તેના પર સપ્તર્ષિઓ અને માતા અરૂંધતીનું આહ્વાન કરવામાં આવે છે. ઋષિઓને જળ,ચંદન,અક્ષત,પુષ્પ,ધૂપ,દીપ અને નૈવેદ્ય અર્પણ કરાય છે.નૈવેદ્યમાં સામો,મોરૈયો,દૂધ,સાકર અને અખેડાયેલા અન્નમાંથી બનેલી વાનગીઓ ધરાવાય છે. પૂજા બાદ ઋષિ પંચમીની પૌરાણિક કથાનું શ્રવણ કે પઠન કરાય છે અને સપ્તર્ષિઓની આરતી કરી ક્ષમાયાચના કરવામાં આવે છે. દિવસ દરમિયાન સ્વસંયમ રાખી સાંજે સામો, મોરૈયો કે ફળાહાર કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે.
આજના આધુનિક વિજ્ઞાનયુગમાં ઋષિ પંચમી માત્ર એક જૂની ધાર્મિક વિધિ પૂરતી મર્યાદિત નથી પરંતુ તેનો સામાજિક,પર્યાવરણીય અને વૈચારિક દ્રષ્ટિકોણ અત્યંત પ્રાસંગિક છે.આ પર્વ આપણને સ્વચ્છતા (),શારીરિક શુદ્ધિ અને સ્વ-નિરિક્ષણનો સંદેશ આપે છે. આ દિવસે વેદ,યોગ,આયુર્વેદ,ખગોળશાસ્ત્ર અને ગણિત જેવા વિજ્ઞાનના જનક એવા આપણા ઋષિ-મુનિઓના પ્રદાનને યાદ કરીને તેમની પરંપરા પ્રત્યે ગૌરવ અનુભવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. ઋષિ પંચમીના દિવસે આપણે સંકલ્પ કરવો જોઈએ કે આપણે રોજ થોડો સમય ઉત્તમ ગ્રંથોનો સ્વાધ્યાય કરીશું,આપણા વિચારોને શુદ્ધ બનાવીશું અને સમાજમાં દૈવી વિચારોનો પ્રસાર કરીને માનવ ગૌરવની સ્થાપના કરીશું.
ટૂંકમાં ઋષિ પંચમી કે સામા પાંચમ એ મનુષ્યને પ્રકૃતિ,પરંપરા,વિજ્ઞાન અને આત્મચિંતન સાથે જોડતો સનાતન સંસ્કૃતિનો એક પાવન અને મહાન ઉત્સવ છે.

