Ahmedabad,તા.02
કિન્નર. એક એવો શબ્દ જેની આસપાસ કાયમી માટે રહસ્યના તાણાવાણાં જોડાયેલા રહે છે. માનવીના આ વિશેષ રૂપને કાયદામાં તો માન્યતા મળી ગઈ છે, સરકારે મતાધિકાર પણ આપ્યો છે. પરંતુ સમાજ હજી તેને સહજતાથી સ્વીકારી શકતો નથી. બાળકનો જન્મ થાય, ત્યારે સૌથી પહેલો સવાલ કરવામાં આવે કે બાબો છે કે બેબી? સામાન્ય માણસ એવી સમજ ધરાવતો હોય છે કે, જન્મ સમયે જ બાળક કિન્નર છે કે નહીં? તેનો ખ્યાલ આવી જાય છે. પરંતુ આ સમજ અને માન્યતા સંપૂર્ણ ખોટી છે. જન્મ સમયે બાળક કિન્નર હોવાનો ખ્યાલ આવતો નથી! હા, આ આશ્ચર્યજનક વાત સો ટકા સોના જેટલી સાચી છે. કારણ કે અદ્યતન તબીબી વિજ્ઞાન આ વાત હોવાનો ખ્યાલ આવે છે. મેડિકલ જગતના મતે ચારથી પાંચ હજાર બાળકોએ એક બાળક રંગસૂત્રોની ખામીના કારણે કિન્નર તરીકે વિકાસ પામે છે. આ મુજબ અમદાવાદ શહેરમાં વર્ષે એકાદ લાખ બાળકનો જન્મ થાય છે, તેમાં 20થી 22 જેટલા કિન્નર હોય છે.
અમદાવાદના કિન્નરોના એક મઠમાં દર વર્ષે ચારથી પાંચ આવા બાળકો સમાજમાં ન રહી શકતા હોવાથી કિન્નરોની દુનિયામાં પ્રવેશ કરે છે. આવી રીતે જન્મેલા બાળકોને ન તો પરિવારનો પ્રેમ મળે છે, ન યોગ્ય શિક્ષણ, ન નોકરી અને ન તો જીવન નિર્વાહનું માધ્યમ! ટ્રાન્સજેન્ડર કે કિન્નર હોવાને કેટલાક લોકો પાછલા જન્મનું કર્મ માને છે, ધાર્મિક રીતે ભલે કિન્નરોને અર્ધનારેશ્વર તરીકે શિવજી સમાન ઉપમા આપવામાં આવી હોય, પરંતુ આ લોકોનું વાસ્તવિક જીવન ખૂબ જ દયનીય હોય છે. પરિણામે આવા બાળકો સમાજથી છૂપા પડીને કિન્નરોના મઠમાં આવી જાય છે.
વાસ્તવમાં આ થર્ડ જેન્ડર સાથે તબીબી વિજ્ઞાન ગાઢ રીતે જોડાયેલું છે. ગર્ભાવસ્થામાં ગર્ભના વિકાસમાં વિવિધ પ્રકારની ખામીઓ સર્જાતી હોય છે. કેટલાક બાળકો જન્મથી કિડની, ક્યારેક હ્રદયમાં કાણું વગેરે જેવા જેનેટિક ડિસઑર્ડર હોય છે. તેવી જ રીતે ગર્ભાવસ્થામાં જનનાંગોનો યોગ્ય વિકાસ ન થાય અથવા તેમાં ખામી સર્જાય ત્યારે બાળકને થર્ડ જેન્ડર તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદની એલ.જી. હોસ્પિટલના અસોસિએટ પ્રોફેસર ડૉ. મુંજાલ પંડ્યા કહે છે કે, કોઈ બાળક જન્મ્યો ત્યારે તરત આવી ખામીઓની ખબર પડતી નથી. શિશુ જન્મે ત્યારે જનનાંગો સ્ત્રી અથવા પુરુષ જેવા દેખાતા હોય છે. પરંતુ બાળક મોટું થાય ત્યારે સ્ત્રીમાં પુરુષના અને પુરુષમાં સ્ત્રીના લક્ષણો દેખાય તેના પરથી આવી ખામી હોવાનો અંદાજ આવે છે.
અમદાવાદના પીડિયાટ્રિક એન્ડોક્રિનોલૉજિસ્ટ ડૉ. રુચિ શાહ જણાવે છે કે, મોટા ભાગે આ સ્થિતિ રંગસૂત્રો અને પ્રજનન ગ્રંથીઓની ખામી તેમજ હોર્મોનલ ઈમ્બેલેન્સના લીધે થાય છે. ત્રણ-ચાર વર્ષથી બાળકોમાં આવી ખામીઓ દેખાવા લાગે છે. દર મહિને ચારથી પાંચ બાળકો આવી સમસ્યાઓ સાથે ચેકઅપ માટે આવે છે. પરંતુ આ ફક્ત સામે આવતા પાંચથી દસ ટકા કિસ્સા છે. ટ્રાન્સજેન્ડરના જન્મને લઈને પ્રવર્તતી ગેરમાન્યતાઓના લીધે લોકો આવા બાળકોની સાચી ઓળખને સમાજથી છૂપાવી રાખે છે.જેના લીધે સાચી સ્થિતિ બહાર આવતી નથી. એક અંદાજ અનુસાર દર ચાર-પાંચ હજાર એક બાળક આવી ખામી સાથે જન્મે છે. થર્ડ જેન્ડરના બદલે સ્ત્રી કે પુરુષ કોઈ એક તરીકેની ઓળખ આપવા માટે ઘણી વખત બાળકો જેન્ડર કરેક્શન સર્જરી પણ કરવામાં આવે છે.બાળકના કિન્નર તરીકેના જન્મનું સૌથી મુખ્ય કારણ ક્રોમોસોમ્સ એટલે રંગસૂત્રોની ખામી માનવામાં આવે છે. સામાન્ય રીતે દીકરીના જન્મ માટે એક્સ એક્સ રંગસૂત્ર જરૂરી હોય છે. જ્યારે દીકરાના જન્મ માટે એક્સ વાય રંગસૂત્ર હોવા જરૂરી છે. પરંતુ વિવિધ કારણોસર આ રંગસૂત્રમાં ખામી થાય ત્યારે બાળક અસામાન્ય જનનાંગો સાથે જન્મે છે. જેમ કે એક્સ વાયના બદલે એક્સ એક્સ વાય રંગસૂત્ર અથવા તો એક્સ વાય હોય ત્યારે તે સ્ત્રી કે પુરુષ તરીકે ઓળખી શકાતા નથી. તેમના અમુક જનનાંગો સ્ત્રી, જ્યારે અમુક પુરુષ જેવા હોઈ શકે છે.
કાયદાકીય રીતે કિન્નર તેમજ થર્ડ જેન્ડરને પણ સ્ત્રી અને પુરુષની જેમ જ સમાન મતાધિકાર આપવામાં આવ્યો છે. ભારતીય ચૂંટણી પંચમાં નોંધાયેલા આંકડા મુજબ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 1543 થર્ડ જેન્ડર મતદારો હતા.કહે છે અને અમદાવાદના વરિષ્ઠ કિન્નરો પણ આ બાબતને સમર્થન આપે છે કે, જન્મથી કોઈ બાળક કિન્નર છે કે નહીં? તેનો ખ્યાલ આવી શકતો નથી. ધીમે ધીમે જેમ બાળક મોટું થાય તેમ તેમ કિન્નર હોવાનો ખ્યાલ આવે છે.
અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ કિન્નર જણાવે છે કે, ‘શારીરિક રીતે પુરુષ તરીકે જન્મેલા અમુક બાળકો સ્ત્રીની જેમ કપડાં પહેરવા, તેમની જેમ તૈયાર થવા ઈચ્છતા હોય છે. ત્યારે આવા બાળકો અમારી પાસે આવી પોતાની લાગણી વ્યક્ત કરી અમારી જેમ તૈયાર થવા રજૂઆત કરે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ સરળતાથી કિન્નર બની શકતી નથી. તેના માટે કિન્નરના મઠમાં નિર્વાણ વિધિ કરવી પડે છે. જેમાં પુરુષ જનન અંગોને શસ્ત્રક્રિયાથી દૂર કરવામાં આવે છે. વિધિ પૂરી થયા બાદ પુરુષત્વનો ત્યાગ કરવા 40 દિવસના એકાંતવાસમાં વીતાવવા પડે છે. એકાંતવાસ પૂરો થયા બાદ તે વ્યક્તિને નવડાવી, નવા કપડાં અને શૃંગાર સજાવીને અરીસામાં પોતાનો ચહેરો બતાવી કિન્નરનો દરજ્જો અપાય છે. આમ કિન્નર બનવા માટે પણ દીક્ષા લેવી પડે છે.કાયદાકીય રીતે શરીર પોતાની ઓળખ બદલવા અંગેનો કોઈ કરાર સ્વતંત્ર રીતે કરી શકતા નથી. તેમજ તેઓ પોતાના જૈવિક માતા-પિતાને છોડી દેવા માટે સ્વતંત્ર હોતા નથી. જેના લીધે કાયદાકીય રીતે કિન્નર બનતાં પહેલાં વાલીઓની સંમતિથી કરાર કરવા જરૂરી છે. મોટા ભાગે તો 18 વર્ષ બાદ જ કોઈ પણ ટ્રાન્સજેન્ડર બાળકને કિન્નરના મઠમાં સ્વીકારવામાં આવે છે. ધાર્મિક વિધિ બાદ કોર્ટમાં જઈ કાનૂની પ્રક્રિયા કરી ટ્રાન્સજેન્ડર હોવાનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે.

