Ahmedabad,તા.02
દેશની શ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલ્સમાંથી એક એવી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A)માંથી MBA કરનારા વિદ્યાર્થીઓનું ફાઈનલ પ્લેસમેન્ટ પૂર્ણ થયા બાદ તાજેતરમાં તેનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. નેશનલ રેન્કિંગમાં પ્રથમ સ્થાન ધરાવતી અને ગ્લોબલ રેન્કિંગ ધરાવતી આ સંસ્થામાંથી પ્લેસમેન્ટમાં ભાગ લેનારા 398 વિદ્યાર્થીઓમાંથી માત્ર 6 વિદ્યાર્થીઓને જ ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટ મળ્યું છે, જ્યારે 386 વિદ્યાર્થીઓએ ભારતમાં જ નોકરી મેળવી છે. આ સિવાય, આ વર્ષે પણ માત્ર 2 જ વિદ્યાર્થીઓએ નોકરી મેળવવાના બદલે પોતાનો બિઝનેસ (એન્ટરપ્રિન્યોરશિપ) પસંદ કરે છે.આ વર્ષે ફાઈનલ પ્લેસમેન્ટ માટે કુલ 402 વિદ્યાર્થીઓ લાયક ઠર્યા હતા. જેમાં આ વર્ષે પાસ થનારા 385, ગત વર્ષના 1 વિદ્યાર્થી સહિત કુલ 386 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થીઓ ડ્યુઅલ ડિગ્રી હેઠળના હતા. આમ, કુલ 398 વિદ્યાર્થીઓએ સંસ્થાના માધ્યમથી પ્લેસમેન્ટ પ્રક્રિયામાં ભાગ લીધો હતો, જ્યારે 10 વિદ્યાર્થીઓએ સંસ્થા પાસેથી પ્લેસમેન્ટ માંગ્યું ન હતું.
રિપોર્ટ મુજબ, પ્લેસમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી 386 વિદ્યાર્થીઓનું ભારતના જ જુદા જુદા શહેરોમાં વિવિધ કંપનીઓમાં સિલેક્શન થયું છે. વિદેશમાં નોકરી મેળવનારા કુલ 6 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓને દુબઈમાં, 1 વિદ્યાર્થીને હોંગકોંગમાં અને 1 વિદ્યાર્થીને જાપાનમાં પ્લેસમેન્ટ મળ્યું છે.
ભારતમાં નોકરી મેળવનારા કુલ 386 વિદ્યાર્થીઓને વાર્ષિક એવરેજ ₹28.82 લાખનું પેકેજ મળ્યું છે. આ વર્ષે ભારત માટે હાઈએસ્ટ પેકેજ ₹81.60 લાખ અને મિનિમમ પેકેજ ₹12 લાખ નોંધાયું છે. ગત વર્ષે ભારતમાં હાઈએસ્ટ પેકેજ ₹65 લાખ, સૌથી ઓછું ₹15.99 લાખ અને એવરેજ પેકેજ ₹25.31 લાખ હતું, જેની સરખામણીએ આ વર્ષે એવરેજ અને હાઈએસ્ટ પેકેજમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટની વાત કરીએ તો, ત્યાં મિનિમમ 40,016 યુએસ ડૉલર, મેક્સિમમ 67,500 યુએસ ડૉલર અને એવરેજ પેકેજ 55,227 યુએસ ડૉલર રહ્યું છે.
કુલ પ્લેસમેન્ટના આંકડાઓ પર નજર કરીએ તો સંસ્થાના સૌથી વધુ 155 વિદ્યાર્થીઓની પસંદગી કન્સલ્ટિંગ કંપનીઓમાં થઈ છે. આ ઉપરાંત બેન્કિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં 81 વિદ્યાર્થીઓ, આઈટી કંપનીઓમાં 33 વિદ્યાર્થીઓ અને ફાર્મા-હેલ્થકેર ક્ષેત્રે 13 વિદ્યાર્થીઓને રોજગારી પ્રાપ્ત થઈ છે.નોકરી મેળવવાના બદલે પોતાનું સ્ટાર્ટઅપ કે વેન્ચર શરૂ કરવા તરફ આ વર્ષે પણ વિદ્યાર્થીઓનો બહુ ઓછો ઝુકાવ જોવા મળ્યો છે. આ વર્ષે માત્ર 2 વિદ્યાર્થીઓએ જ એન્ટરપ્રિન્યોરશિપ પસંદ કરી છે. આ બંને વિદ્યાર્થીઓએ IIM-Aની ફેલોશિપ હેઠળ પોતાના વેન્ચરમાં આગળ વધીને એન્ટરપ્રિન્યોર બનવાનો નિર્ણય લીધો છે.

