ફાલ્ગુની વસાવડા.
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ગુરુ પૂર્ણિમા આવી રહી છે અને આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ! કળિયુગમાં એક ચરિત્ર શોધવું બહુ અઘરું છે, અને એ છે ગુરુ ચરિત્ર! જોકે જગત કદાચ એનું ચરિત્ર ચકાસે પણ સાધક શિષ્ય માટે સદગુરુ સકલ અસ્તિત્વ છે! અને આવાં સદગુરુનુ પૂજન કરવામાં આવે છે! પણ સદગુરુ કોને કહીશું? એ પ્રશ્નના ઉત્તરમાં પૂજનીયની મહત્તા સમજવી જરૂરી છે. કારણકે સાધુ સંતો બુદ્ધપુરુષો સિદ્ધપુરુષો તો ખૂબ છે, અને એ બધાં સમાજનું ઘરેણું છે, તેનાથી જ સમાજ શોભી ઊઠે છે. હજી તો સમાજના 20% થી ઓછા લોકો સાધુનાં કહેવા પ્રમાણે જીવતા હશે, બાકી તો સમાજનો દેખાવ તદ્દન જુદો હોય. પરંતુ સંસારી જીવ કેટલીયે આંટીઘૂંટીમાં ફસાયેલો હોય, અને એમાંથી બહાર આવવા કેટલુંય સાચું ખોટું કરતો હોય. કોઈકોઈ વાર જ અજાણે ભૂલ થતી હોય છે, બાકી તો સૌ પોતાની ભૂલથી જ્ઞાત હોય છે.ભારતીય સમાજમાં બુદ્ધ પુરુષ એટલે કે બૌદ્ધિકતાની દ્રષ્ટિએ ઉચ્ચ હોય એને પંડિત કહી શકાય, વિદ્વાન કહી શકાય એની કમી નથી, આકરી તપશ્ચર્યા કરી અને સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા પુરુષોની પણ સમાજમાં કમી નથી. પરંતુ બુદ્ધ પણ હોય, સિદ્ધ પણ હોય, અને સાથે સાથે શુદ્ધ પણ હોય એવાં, પરમ કોટિના સાધુ પુરુષની કમી છે, એટલે સમાજ સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે. તો આજે આપણે બુદ્ધ, સિદ્ધ, અને શુદ્ધ શબ્દો વચ્ચેનાં તફાવત વિશે ચિંતનમાં વાત કરીશું.
બુદ્ધ શબ્દનો સીધો સાદો અર્થ કરીએ તો તેની બુદ્ધિની કક્ષા ખુબ જ ઉચ્ચ હોય, અને વેદાંત વિશે સારું એવું જ્ઞાન ધરાવતા હોય, સ્થિતપ્રજ્ઞ સુધી બુદ્ધિની કક્ષા જેની પહોંચી હોય, તેવાં સ્ત્રી પુરુષ ગમે તે લિંગના વ્યક્તિને બુદ્ધ કહેવામાં આવે છે. આજનો સમાજ બૌદ્ધિક તો છે, અને વિજ્ઞાનનો વિકાસ પણ એને સિદ્ધ કરે છે, કારણ કે પ્રખર બુદ્ધિશાળી હોય ત્યાંજ વૈજ્ઞાનિક વિકાસ થાય, અને એટલે જ આપણે ત્યાં ઋષિઓને વૈજ્ઞાનિક કહેવામાં આવતાં. વૈજ્ઞાનિક શોધ કરનારા બુદ્ધ ખૂબ જ જોવા મળે છે, પરંતુ આંતરિક રીતે જીવન શાંત થાય એ માટે શુદ્ધી જરૂરી છે,અને એની માટે બુદ્ધિનું અનુગામી હોવું જરૂરી છે. નહીં તો માનવી સો રૂપિયાની જરૂરિયાત સામે કમાણી કરીને સો પ્રાપ્ત કરી લીધાં, પરંતુ બુદ્ધિ અનુગામી ન્હોય તો સોની બદલે હજારની જરૂરિયાત દેખાડે, હજાર કમાય એટલે દસ હજારની જરૂરિયાત દેખાડે, અને એ રીતે સતત ક્યાંથી કમાવું! એની યોજનાઓ ઘડવામાં જીવનની અમૂલ્ય ક્ષણો વેડફી નાખે છે. આ ઉપરાંત સો રૂપિયા ઈમાનદારીથી કમાયો, કદાચ હજાર રૂપિયા પણ ઈમાનદારીથી કમાઈ શકાય. પરંતુ જેમજેમ અપેક્ષા વધતી જાય તેમ નૈતિકતા ક્યાંક ઘટતી પણ જાય, એટલે કે બુદ્ધ તો રહે, પરંતુ શુદ્ધતા ધીરે ધીરે ઓછી થતી જાય.
સિદ્ધ શબ્દનો સીધો સાદો અર્થ કરીએ તો પારંગત એવો થાય. નાની મોટી કેટલીએ વિદ્યામાં લોકો પારંગત થતાં હોય છે. પરંતુ કલા કે વિદ્યામાં પારંગત હોવું, સિદ્ધી પ્રાપ્ત કરવી સારું છે, પરંતુ ઘણીવાર એવું થાય કે જે કલા કે વિદ્યામાં પારંગત હોય, એની કરતાં સિદ્ધિ ઘણું અભિમાન કરાવે, અને નમ્રતા, સરળતા, સાલસતા, બધું છૂટતું દેખાય. આ ઉપરાંત કલા કે વિદ્યા પ્રત્યે આપણી જે રસ રુચિ હતી, એ ઓછું થતું જાય, અને ફક્ત એનાં નામનો આગ્રહ, એટલે કે આ પ્રમાણે જ થવું જોઈએ, તો જ સાચું, એવું દ્રઢ વલણ વધે છે. જે સિદ્ધ તો છે, પરંતુ શુદ્ધ નથી. અહી મારા જેટલું કોઈ સિદ્ધ નથી, એ ભાવથી પીડાતા હોય, એટલે કે ઘણીવાર બુદ્ધિની ઊંચાઈ હોય, સિદ્ધિ પણ ઉચ્ચ હોય, પરંતુ એ શુદ્ધ જ હોય એવું જરૂરી નથી. પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઊંચું પદ પ્રાપ્ત થાય, છતાં સાલસતા અને વિનમ્રતા ઘટે નહીં, વિવેક પણ બરકરાર રહે સાચા-ખોટાનો ભેદ કરનારી બુદ્ધિ રહે, તેમજ અહમ આગ્રહનું વળગણ છૂટે, તો જ સાંચી સિદ્ધિ છે.
શુદ્ધ શબ્દનો સીધો સાદો અર્થ કરીએ તો જેનું તન અને મન બંને શુદ્ધ છે, જ્યાં કોઈ આંટીઘૂટી નથી, કોઈની માટે વેરભાવ નથી, કોઈની માટે આગ્રહનું બંધન નથી, ત્યાં આગળ ફક્ત અને ફક્ત લાગણી કે સંવેદનાનું વહન છે, અને જે દરેક માટે પોતાનાનો ભાવ રાખી શકે છે, અથવા તો અહીં કોઈ પરાયું નથી, બધા જ પોતાનાં છે અને દરેકમાં હરિ દર્શન કરી શકે તેટલી તેની સરળતા પણ છે. આ ઉપરાંત તે હરક્ષણ દરેકની મદદ કરવાં તત્પર રહે છે, તેમજ સમાજ પ્રત્યેનું પોતાનું દાયિત્વ પણ તે સ્વીકારે છે, એટલે જ્યારે જ્યારે સમાજ મુસીબતમાં આવે ત્યારે એ પોતાનાથી બનતી મદદ પણ કરે છે. એની માટે સત્ય પ્રેમ અને કરુણાથી જીવન જીવવું એ જ એકમાત્ર સાધના છે, તેની બુદ્ધિ કક્ષા અને પંડિતાઈ એટલી ઊંચી છે, કે ત્યાં એને કોઈ જાતનો ભય લાગતો નથી, એટલે કે પદ પ્રતિષ્ઠા જતા રહે એવો ભાવ કે ભય એ રાખતા નથી, અને કાયમ લોક મંગલના કાર્ય કરે છે.
એક ઉદાહરણ, એકવાર એક સ્વામીજીનાં જન્મ દિવસ નિમિત્તે એમને ભેટ અર્પણ કરવા સમાજના ત્રણ વ્યક્તિઓ આવે છે. બૌદ્ધિકતાની દ્રષ્ટિએ ઉચ્ચ એવા એક વ્યક્તિએ પોતાની શોધ વિશે અને સમાજને તે ઉપયોગી છે એ વિશે વાત કરી, અને સ્વામીજીને એ ઉપકરણ ભેટ આપીને કહ્યું આના વડે તમારું જીવન સરળ બનાવો. બીજો સિદ્ધિ પ્રાપ્ત કરેલો પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો, તેણે કહ્યું કે આપ આશ્રમમાં રહો છો, અને કુદરતી ઋતુ અનુસાર ઘણી બધી મુશ્કેલીઓ થતી હશે, માટે મેં એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેનાથી તમે આ આશ્રમને ઋતુ પ્રભાવથી બચાવી શકો ,જો હું અહીં એક મહિનો તપસ્યા કરું, અને પછી એક યજ્ઞનું આયોજન થાય, તો આશ્રમ કાયમ માટે અમુક પ્રકારની વ્યાધિથી સુરક્ષિત થઈ જાય! અને એવું કરવું ન્હોય, તો આપ આ વીંટી આપના હાથમાં પહેરી લો,મેં કડી તપશ્ચર્યા કરીને પ્રાપ્ત કરેલી સિદ્ધિથી એને ધારણ કરનારા લોકો સંતાપથી દૂર રહી શકે છે, બસ આપે રોજ સવારમાં આ વીટીની મારાં મંત્ર દ્વારા પૂજા કરવી પડે. ત્રીજી વ્યક્તિ સાવ સામાન્ય હતી, અને તેનો પહેરવેશ પણ બતાવતો હતો, કે એ સામાન્ય માણસ છે, કોઈ બુદ્ધિ કે સિદ્ધિ દેખાતી નહોતી. એણે પોતાની ઝોળીમાંથી ખાદીનું એક વસ્ત્ર કાઢીને સ્વામીજીને આપ્યું, અને કહ્યું સ્વામીજી મારી આ ભેટ સ્વીકાર કરો! આમ તો અમે સામાન્ય માણસ અને એમાં પણ સંસારી, છતાં આ વસ્ત્ર વણતી વખતે મનમાં કોઈ વિકાર આવે નહીં, અને પવિત્રતાનો ભાવ બની રહે, એની મેં પૂરી તકેદારી રાખી હતી, એટલે આપ એ ગ્રહણ કરો. સ્વામીજીએ એ તરત જ વસ્ત્ર સ્વીકારી લીધું, અને પેલા બંને લોકોનો વિવેકથી આભાર માની કહ્યું કે, મને જરૂર હશે ત્યારે હું જરૂરથી આપને જણાવીશ.
મિત્રો ઓછી બુદ્ધિ હોય તો કદાચ એટલું જીવન મુશ્કેલ નથી, અને પારંગતતા દરેકમાં હોય એ પણ જરૂરી નથી. પરંતુ શુદ્ધતાની એટલે કે આધુનિક સમાજમાં શુદ્ધ વ્યક્તિની ખોટ કે કમી હોવાને કારણે જ વધુ સમસ્યા દેખાય છે. એકવાર મન વિકારીત થાય, પછી તેને શુદ્ધ કરવું બહુ અઘરું બની જાય છે, માટે કામ ક્રોધ લોભ મોહ માયા અદેખાઈ અને લોભ, લાલચ, દેખાદેખી, વેરઝેર, ઈર્ષા નિંદા, આ બધા દૂષણ આપણા જીવનમાં નાનાં નાનાં વ્યવહારો થકી પ્રવેશી જતાં હોય છે. આપણે સૌ મનો વિકાર પ્રત્યે જાગૃતિ રાખીને જીવન જેટલું બને તેટલું શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી.ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

