એક જ મિલકતમાં વારંવાર ચોરી થવાની ઘટનાએ પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે
Ahmedabad,તા.૧
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, ચેન સ્નેચિંગ અને મોબાઇલ આંચકી લેવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
સતત બની રહેલી ગુનાખોરીની ઘટનાઓને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. એક તરફ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ તસ્કરો નિર્ભય બની ગુનાઓને અંજામ આપી રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
તાજેતરમાં સામે આવેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા વધારી છે. વાડજના એક નવનિર્મિત મકાનને તસ્કરોએ છેલ્લા છ મહિનામાં સતત ત્રીજી વખત નિશાન બનાવ્યું છે. એક જ મિલકતમાં વારંવાર ચોરી થવાની ઘટનાએ પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ ઉપરાંત, શિવમ એપાર્ટમેન્ટમાંથી અંદાજે ?૧.૫૦ લાખ કિંમતની બાઇકની ચોરી કરવામાં આવી હતી. ભીમજીપુરા વિસ્તારમાં આવેલી એક ટ્રેડર્સની દુકાનમાં પણ તસ્કરોએ હાથ ફેરવ્યો હતો. બીજી તરફ, વસાર હોસ્ટેલ નજીક દિવસના સમયે એક મહિલાના ગળામાંથી ચેન આંચકી સ્નેચર ફરાર થઈ ગયો હતો. તેમજ ભરચક વિસ્તારમાં રિક્ષામાં આવેલા અજાણ્યા શખ્સે એક નાગરિકનો મોબાઇલ ફોન આંચકી ફરાર થવાની ઘટના પણ સામે આવી છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં પોલીસની દૃશ્યમાન હાજરી ઓછી જોવા મળે છે અને રાત્રિ પેટ્રોલિંગ અસરકારક રીતે થતું નથી. જેના કારણે અસામાજિક તત્વોમાં પોલીસનો ભય ઘટ્યો હોવાનું લોકો માની રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે સતત બનતી ચોરીની ઘટનાઓથી વેપાર અને રોજિંદા જીવન પર પણ અસર પડી રહી છે.
રહીશો અને વેપારીઓએ પોલીસ તંત્રને વિસ્તારમાં વધુ સઘન રાત્રિ પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી મોનિટરિંગ વધારવા અને તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું માનવું છે કે સમયસર અને અસરકારક પગલાં લેવામાં આવશે તો જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની શકશે.
સ્થાનિક રહીશો અને વેપારીઓએ વાડજ વિસ્તારમાં નિયમિત પોલીસ પેટ્રોલિંગ વધારવું, વારંવાર ગુનાઓ સર્જાતા વિસ્તારોમાં સતત નજર રાખવી, ગુનેગારોને ઝડપથી પકડી કડક કાર્યવાહી કરવી અને નાગરિકોમાં ફરી સુરક્ષાની ભાવના સ્થાપિત કરવા માટે તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.

