(નયના દવે દ્વારા)
Jamnagar તા.૯ઃ
જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના કોપર વાયરની ચોરીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં જામનગર પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળી છે.
જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એબ્સકોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન સ્કવોડના સ્ટાફને મળેલી બાતમીના આધારે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૨), ૩૩૧(૩) અને ૩૩૧(૪) મુજબના ગુનામાં ફરાર આરોપીઓ કિશોરભાઇ બચુભાઇ સોલંકી તથા સુનિલભાઇ કિશોરભાઇ સોલંકી, બંને રહે. બને, સિક્કા, તા.જી. જામનગર, સિક્કા પાટિયા પાસે હાજર હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસ ટીમે સિક્કા પાટિયા પાસે તપાસ હાથ ધરતા બંને આરોપીઓ સ્થળ પરથી મળી આવ્યા હતા. જેથી બંનેને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે જામનગરના શેઠવડાળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.

