કોર્પોરેટ ઇવેન્ટ્સથી લઈને ખાનગી ઉજવણીઓ સુધીની સુવિધા, સ્થાનિક રોજગારીને પણ મળશે પ્રોત્સાહન
Vadodara, તા.૪
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. નર્મદા નદીમાં ૬૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રૂઝ સેવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તમામ જરૂરી સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની મંજૂરી બાદ આ ક્રૂઝ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નવી સુવિધાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રવાસનને વધુ વેગ મળવાની સાથે સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીને પણ પ્રોત્સાહન મળશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી ૨૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સેવા સફળતાપૂર્વક ચાલી રહી છે, જેને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. નર્મદા નદીમાં ક્રૂઝ સફર દરમિયાન પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે છે. વધતી જતી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે વધુ વિશાળ અને આધુનિક સુવિધાઓ ધરાવતી નવી ક્રૂઝ શરૂ કરવામાં આવી છે.
આ નવી ક્રૂઝ માત્ર પ્રવાસ માટે જ નહીં પરંતુ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને વ્યાવસાયિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પણ તૈયાર કરવામાં આવી છે. અહીં જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો તેમજ પ્રોડક્ટ લોન્ચ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી શકાશે. નર્મદા નદીના સુંદર વાતાવરણમાં યોજાતા આવા કાર્યક્રમો પ્રવાસીઓને અનોખો અનુભવ આપશે.
રાત્રિના સમયે ક્રૂઝને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં વિશેષ ડેકોરેટિવ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે સાંજ અને રાત્રિના સમયે નદીમાં ક્રૂઝનું દૃશ્ય વધુ મનમોહક બનશે અને પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ સર્જાશે.
નવી ક્રૂઝની મુખ્ય વિશેષતાઓ
૬૦૦ મુસાફરોની ક્ષમતા
૨૫૦ લોકો માટે આધુનિક ડાઇનિંગ સુવિધા
૩૦ મીટર લંબાઈ અને ૧૨ મીટર પહોળાઈ
૫* ૪ મીટરનું વિશાળ સ્ટેજ
આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ
કોર્પોરેટ ઇવેન્ટ્સ, પાર્ટી, સેલિબ્રેશન, પ્રોડક્ટ લોન્ચ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વિશેષ ડિઝાઇન
નવી ક્રૂઝ કદ, ક્ષમતા અને સુવિધાઓની દૃષ્ટિએ હાલની ક્રૂઝ કરતાં વધુ આધુનિક અને વિશાળ છે. મોટા ડાઇનિંગ વિસ્તાર અને સ્ટેજને કારણે મોટા પાયે કાર્યક્રમો સરળતાથી યોજી શકાશે. આ સુવિધા લગ્ન સમારંભો, ખાનગી ઉજવણીઓ અને વિવિધ કોર્પોરેટ કાર્યક્રમો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ નવી પહેલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને વધુ સમૃદ્ધ અને યાદગાર અનુભવ મળશે. સાથે જ નર્મદા જિલ્લાના પર્યટન વિકાસને નવી દિશા મળશે અને સ્થાનિક લોકોને રોજગારી તેમજ આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

