ઘરમાં સાચવેલું ચોખ્ખું પાણી જ ન બને ડેન્ગ્યુનું કારણ ’ડ્રાય ડે’ ઉજવી મચ્છરોની ઉત્પત્તિ અટકાવો
’હાડકાં ભાંગતો તાવ’ એટલે જ ડેન્ગ્યુ લક્ષણો જણાય તો સ્વ-દવા ટાળો અને ત્વરિત સરકારી સારવાર મેળવો
વિશેષ અહેવાલ- ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
ચોમાસાની વર્તમાન મોસમમાં રાજ્યભરમાં મચ્છરજન્ય રોગચાળાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રજાજનોના સ્વાસ્થ્ય રક્ષણ માટે વ્યાપક સ્તરે આગોતરા જાગૃતિ અને નિયંત્રણના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસને સમગ્ર રાજ્યમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવ્યો. રાજ્યના તમામ જિલ્લાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા ‘‘સાવચેતી, સ્વચ્છતા અને સમયસર સારવાર એ જ શ્રેષ્ઠ ઉપાય‘‘ના સૂત્ર સાથે લોકજાગૃતિનું આ સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની પૂરી શક્યતા રહેતી હોય છે, ત્યારે નાગરિકો પોતે સચેત બનીને પોતાના ઘર અને આસપાસના પરિસરમાં સ્વચ્છતા જાળવે તે આ રોગચાળાને ડામવા માટે અત્યંત જરૂરી છે.
ડેન્ગ્યુ એ એક વાયરલ તાવ છે, જે ચેપી માદા એડિસ ઈજિપ્તિ જાતિના મચ્છરના કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. આ મચ્છરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ગંદા કે ગટરના પાણીમાં નહીં, પરંતુ ઘરમાં કે ઘરની આસપાસ એકત્રિત થયેલા ચોખ્ખા અને સ્થિર પાણીમાં જ ઈંડા મૂકીને પોતાની વંશવૃદ્ધિ કરે છે. સાથોસાથ, એડિસ મચ્છર મુખ્યત્વે દિવસના સમયે જ વધુ સક્રિય રહીને માનવશરીરે કરડે છે. આ સંજોગોમાં આપણો સૌથી મોટો દુશ્મન આપણા પોતાના ઘરમાં જ છુપાયેલો હોઈ શકે છે. નાગરિકો સામાન્ય રીતે ગંદકી પ્રત્યે સચેત હોય છે, પરંતુ ચોખ્ખા પાણીના નાના-મોટા સંગ્રહસ્થાનો તરફ અજાણતાં દુર્લક્ષ સેવે છે, જે ડેન્ગ્યુના મચ્છરો માટે પ્રજનન સ્થળ બની રહે છે.
આપણા દૈનિક જીવનમાં વપરાતા ઘણા સાધનો અને વાસણો અજાણતાં જ મચ્છરોની ઉત્પત્તિના કેન્દ્રો બની જતાં હોય છે. જેમાં ખાસ કરીને રેફ્રિજરેટરની પાછળ આવેલી ડીફ્રોસ્ટ ટ્રે, એર કૂલર અને તેની પાણીની ટેન્ક, ઘરમાં રાખવામાં આવતી ફૂલદાનીઓ, કુંડાના તળિયા, પક્ષીઓ માટે રાખવામાં આવતા પક્ષીકુંજ (પરબડી) તેમજ પાણી સંગ્રહ માટેના પીપ, બેરલ અને ખુલ્લી ટાંકીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અગાશી, બગીચા કે ખુલ્લા પ્લોટમાં પડેલા જૂના વાહનોના ટાયર, પ્લાસ્ટિકના ડબ્બા, નાળિયેરની કાચલીઓ કે તૂટેલા વાસણોમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં તેમાં ખૂબ જ ઝડપથી મચ્છરોના લાર્વા ઉછરે છે.
આ સંક્રમણ શૃંખલાને તોડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાય ડે ( )ની વિભાવના અમલમાં મૂકવામાં આવી છે. દરેક નાગરિકે અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ નિયત કરીને ઘરના તમામ પાણી સંગ્રહના પાત્રો, ફ્રીજની ટ્રે, કૂલર, કુંડા અને પક્ષીકુંજને સંપૂર્ણપણે ખાલી કરવા જોઈએ. માત્ર પાણી ઢોળી દેવું પૂરતું નથી, પરંતુ વાસણની અંદરની સપાટીને કપડાં કે બ્રશથી ઘસીને સાફ કરવી જરૂરી છે, કારણ કે એડિસ મચ્છરના ઈંડા વાસણની કિનારીઓ પર ચોંટી રહે છે. વાસણો ઘસીને સાફ કર્યા બાદ તેને સંપૂર્ણ સુકવીને જ પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. આ સાથે જ પાણીના તમામ સંગ્રહસ્થાનોને હંમેશાં હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા હિતાવહ છે.
ડેન્ગ્યુનો વાયરસ શરીરમાં પ્રવેશ્યા બાદ દર્દીમાં કેટલાક વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે અચાનક ખૂબ જ સખત તાવ આવવો એ આ રોગનું પ્રાથમિક લક્ષણ છે. તાવની સાથે દર્દીને આંખના ડોળાની પાછળના ભાગમાં તીવ્ર દુઃખાવો થાય છે, જે ડેન્ગ્યુની ઓળખ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત હાથ, ચહેરા અને આખા શરીર પર લાલ ચકામાં અથવા ઓરી જેવા દાણા ઉપસી આવવા, ભારે શારીરિક નબળાઈ અનુભવાવી, ઊબકા કે ઊલટી થવી તેમજ સ્નાયુઓ અને સાંધામાં અસહ્ય દુઃખાવો થવો જેવા લક્ષણો જોવા મળે છે. આ તીવ્ર સાંધાના દુઃખાવાના કારણે જ ડેન્ગ્યુને સામાન્ય ભાષામાં હાડકાં ભાંગતો તાવ પણ કહેવામાં આવે છે. કેટલાક કિસ્સામાં રોગનું પ્રમાણ વધી જતાં નાક, મોં કે પેઢામાંથી લોહી વહેવા જેવા ગંભીર લક્ષણો પણ સામે આવી શકે છે.
મચ્છરના કરડવાથી બચવા માટે ઘરના તમામ સભ્યોએ, ખાસ કરીને નાના બાળકો અને વડીલોએ દિવસ દરમિયાન પણ આખી બાયના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. ઘરમાં મચ્છરોનો પ્રવેશ અટકાવવા બારી-બારણાં પર ઝીણી નેટ લગાડવી તેમજ જરૂરિયાત મુજબ મચ્છરદાની કે મચ્છર રોધક ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.
જો પરિવારમાં કોઈ પણ વ્યક્તિને તાવ કે ડેન્ગ્યુના લક્ષણો જણાય, તો સૌથી પહેલા દર્દીને પૂરતો શારીરિક આરામ આપવો અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી આપવું. દર્દીને ઓ.આર.એસ.નું દ્રાવણ, ઉકાળેલું પાણી, નાળિયેર પાણી, લીંબુ શરબત કે તાજા ફળોનો રસ સતત આપવો જોઈએ. અહીં સૌથી અગત્યની બાબત એ છે કે ડોક્ટરની યોગ્ય સલાહ વગર આપમેળે ક્યારેય પેઇનકિલર કે એસ્પિરિન અને આઇબુપ્રુફેન જેવી દવાઓ લેવી નહીં, કારણ કે આવી દવાઓ ડેન્ગ્યુના દર્દી માટે જોખમી સાબિત થઈ શકે છે. તાવના સંકેત મળતાં જ તુરંત જ નજીકના સરકારી દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા સ્થાનિક આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરીને વિનામૂલ્યે તપાસ અને યોગ્ય તબીબી માર્ગદર્શન મેળવી લેવું જોઈએ.
ડેન્ગ્યુ સામેની સતર્કતા માત્ર સરકાર કે આરોગ્ય તંત્રની જ કામગીરી નહીં પરંતુ સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી છે. આપણે સૌ સાથે મળીને જાગૃત બનીએ, આપણા ઘરમાં અને આસપાસ પાણી એકત્રિત ન થવા દઈએ, અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાનું અક્ષરશઃ પાલન કરીએ. આપણી થોડી સાવચેતી અને જાગૃતિ આપણા પરિવાર અને સમગ્ર સમાજને ડેન્ગ્યુ જેવા રોગથી સુરક્ષિત રાખી શકે છે.

